(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.07: ચીખલી તાલુકાના સાદકપોર ગામના ચાડીયા ફળીયા વિસ્તારમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઇ નગીનભાઈ પટેલની આંબાવાડીમાં આરસીસીના પાઈપમાં છેલ્લા કેટલાક દિવસોથી માદા અજગર ઈંડાઓનું સેવન કરતી હોવાનું માલુમ પડતા સ્થાનિકો લોકોમાં ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું હતું. આંબાવાડીમાં ગરનાળામાં ઘણા દિવસોથી માદા અજગર વિંટળાયેલી અવસ્થામાં છે અને વચ્ચે ઈંડા હોય અને તે સેવન કરતી હોવાથી તે કોઈપણ પ્રકારની હલચલન કરી તેનું સ્થાન છોડતી નથી. બીજી તરફ કોઈપણ વ્યક્તિ દ્વારા તેને ખલેલ પણ પહોંચાડવામાં આવતી નથી અને આ અંગેની જાણ શૈલેષભાઇ દ્વારા આરએફઓ આકાશભાઈને પણ કરવામાં આવી છે.
વનવિભાગના સૂત્રો પાસથી પ્રાપ્ત માહિતી મુજબ આ માદા અજગરની લંબાઈ 10 થી 12 ફૂટની હોય છે અને તેને ઈન્ડિયન રોક પાયથન તરીકે ઓળખવામાં આવે છે તે એક સમયે 18 થી 20 ઈંડા મૂકે છે. અને આ માદા અજગરનો હેચિંગ એટલે કે સેવનના 45 જેટલા દિવસ હોય છે. આમ તેના ઈંડાના 45-દિવસ સુધીના સેવન બાદ બચ્ચનો જન્મ થતો હોય છે. વન વિભાગ દ્વારા બચ્ચાના જન્મ બાદ તેને યોગ્ય સલામત સ્થળે ખસેડવામાં આવશે.
શૈલેષભાઈ પટેલના જણાવ્યાનુસાર સાદકપોરમાં મારી આંબાવાડીમાં આરસીસીના પાઈપમાં ઘણા દિવસોથી અજગર એક જ જગ્યાએ સ્થિર જોવા મળતા તપાસ કરાવાતા તે ઈંડાઓનું સેવન કરતી હોવાનું જાણવા મળતા તે અંગે વન વિભાગને જાણ કરી અજગરને કોઈ ખલેલ ન પહોંચે તેની તકેદારી અમે રાખી રહ્યા છે.