(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.08: જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સંસ્કળતિ મંત્રાલય ભારત સરકાર) ધરમપુર ખાતે તા.7 જૂન 2023 નાં રોજ 5માં વર્લ્ડ ફૂડ સેફટી ડે ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડએ કહ્યું કે, ખાદ્યસુરક્ષા રોજબરોજની જિંદગીમાં આવશ્યક ભાગ છે. જ્યારે ખોરાક સલામત હોય ત્યારે જ તે પોષક તત્વોની જરૂરિયાતોને પહોંચી વળે છે અને પુખ્તવયના લોકોને સક્રિય અને તંદુરસ્ત જીવન જીવવામાં અને બાળકોને વિકસાવવામાં મદદ કરે છે.
મોટાભાગના ખોરાકજન્ય રોગો તમામ સ્તરે ખાદ્યસુરક્ષાના ચુસ્ત માપદંડોથી અટકાવી શકાય છે. તેમણે કેટલાક તથ્યો રજૂ કર્યા હતા જેવા કે દર દસમાંથી એક વ્યક્તિ દર વર્ષે દૂષિત ખોરાકથી બીમાર પડે છે. બેક્ટેરિયા, વાયરસ, પરોપજીવીઓ અથવા ભારે ધાતુઓ જેવા રાસાયણિક પદાર્થોથી દૂષિત ખોરાક ખાવાથી 200 થી વધુ રોગો થાય છે. 5 વર્ષથી ઓછી વયના બાળકોની વસતી 9 ટકા છે, પરંતુ તેઓ 40 ટકા ખોરાકજન્ય રોગોના શિકાર બનેછે. દર વર્ષે, એન્ટિ માઈક્રોબાયલ પ્રતિરોધક સુક્ષ્મજીવાણુઓના ચેપને કારણે વિશ્વભરમાં અંદાજે 50 લાખ લોકો મૃત્યુ પામે છે. તેમણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતાં ખાદ્ય પદાર્થોમાં થઈ રહેલી ભેળસેળ અને તેને કેવી રીતે ઓળખી શકાય તેની માહિતી આપી હતી. ત્યારબાદ ફૂડસેફટી વિષય પર ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતા.
ઈનોવેશન હબના જુનિયર મેન્ટર ગાયત્રી બિષ્ટએ દૂધમાં સ્ટાર્ચ, ફોર્મેલીન, પાણીની મિલાવટ, હળદરમાં ચોક પાવડર, મરચાંમાં ઈંટનો ભૂકો, લાકડાનો વેર, ખાંડમાં ચોક પાઉડર, રાઈમાં આર્જેમોન તેમજ મધમાં ચાસણી વગેરેની મિલાવટને કેવી રીતે ઓળખી શકાય તે વિવિધ પ્રયોગો દ્વારા નિદર્શન કરી બતાવ્યું હતું.