-
માસિક મીટિંગમાં લગાતાર ગેરહાજરીઃ પંચાયતના વિકાસ કાર્યોમાં પણ નહીં આપેલો સહયોગ
-
સરપંચ પાસે દર મહિને રૂ.૧૦ હજારની માંગણી કરાતી હોવાનો પણ આરોપ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૧૫ : દાદરા નગર હવેલીની ખરડપાડા ગ્રામ પંચાયતની માસિક મીટિંગમાં ગેરહાજર રહેતાં લગભગ ૬ જેટલા સભ્યોને તેમનું સભ્યપદ રદ્ કરવાની નોટિસ દાનહ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માઍ જારી કરતાં પંચાયતના રાજકારણમાં ગરમી આવવા પામી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ખરડપાડા ગ્રામ પંચાયતના વોર્ડ નં.૪ના સભ્ય શ્રી ગરાસિયા શૈલેષકુમાર બાલુભાઈ સહિત લગભગ ૬ જેટલા સભ્યો લગાતાર માસિક મીટિંગમાં ગેરહાજર રહેવા સાથે ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોમાં પણ સહયોગ નહીં આપવા બદલ તેમનું સભ્યપદ શા માટે ૩ દિવસની અંદર દાદરા નગર હવેલી અને દમણ-દીવ પંચાયત રેગ્યુલેશન ૨૦૧૨ની કલમ ૧૫ઍ મુજબ રદ્ નહીં કરવું? નો જવાબ માંગતી નોટિસ જારી કરી છે.
આ નોટિસમાં જણાવાયું છે કે, સભ્યો દ્વારા સરપંચ પાસે દર મહિને રૂ.૧૦ હજારની માંગણી પણ કરાતી હતી. હવે આ સંબંધમાં નોટિસ પ્રાપ્ત કરનારા ગ્રામ પંચાયતના સભ્યો શું જવાબ આપે અને પ્રશાસન દ્વારા કેવો નિર્ણય લેવામાં આવે તેના ઉપર તમામની નજર મંડાયેલી છે.