-
શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે દાનહની ખાનવેલ કેન્દ્ર શાળા ખાતે યોજાયો સમારંભઃ 279 બાળકોને પ્રશાસકશ્રી સહિત મહાનુભાવોએ કરાવેલો પ્રવેશ
-
પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શિક્ષકોને બાળકોને ભણાવવાની સાથે સાથે નિષ્ઠાપૂર્વક પ્રયાસોથી સારા સંસ્કારોનું સિંચન કરવા પણ પ્રેરિત કર્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : આજે ત્રીજા દિવસે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આયોજીત શાળા પ્રવેશોત્સવ મહોત્સવમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રાથમિક કેન્દ્ર શાળા, ખાનવેલ ખાતે હાજરી આપી બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહની પ્રાથમિક કેન્દ્ર શાળા ખાનવેલ ખાતે ત્રીજા દિવસે આયોજીત શાળા પ્રવેશ મહોત્સવમાં 279 જેટલા બાળકોને ઢોલ નગારા સાથે સરઘસરુપે શણગારેલા બળદગાડા, ટ્રેક્ટર તેમજ ગોલ્ફ કાર્ટમાં બેસાડી નગરભ્રમણ કરાવ્યું હતું. જેમાં પ્રશાસકશ્રી તેમજ તમામ અધિકારીઓએ સાથે સ્વયં ઉપસ્થિત રહી બાળકોની આંગળી પકડી મંડપમાં પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે આયોજીત સમારંભમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીનો વિકાસ છેલ્લા ઘણાં વર્ષોથી રૂંધાયેલો હતો. તે છેલ્લાંવર્ષોમાં વિકાસની રાહ ઉપર આગળ વધી રહ્યો છે અને તમામ ક્ષેત્રોમાં પ્રગતિ થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે વિશેષ સુવિધાઓ સરકારી શાળાઓમાં આપવામાં આવી રહી છે. માળખાકીય સુવિધાઓમાં સરકારી શાળાઓમાં કોલેજોને પણ પાછળ રાખે તેવી તમામ અદ્યતન સુવિધાઓ સાથે શાળાની ઈમારતોનું નિર્માણ કરાવ્યું છે તેવી આજુબાજુના 50 કિલોમીટરના વિસ્તાર સુધી ક્યાંય પણ જોવા નહીં મળશે. તેમણે સંતોષ પ્રગટ કરતા જણાવ્યું હતું કે, દરેકના સહિયારા પ્રયાસોથી છેલ્લા વર્ષોમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં અઢી ગણો જેટલો વધારો થયો છે. પ્રદેશની સરકારી શાળાઓને સ્માર્ટ ક્લાસ તથા દરેક માધ્યમમાં વિષય મુજબના શિક્ષકોની નિયુક્તિનો ભરોસો પણ પ્રશાસકશ્રીએ આપ્યો હતો. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શિક્ષકોને બાળકોને ભણાવવાની સાથે સાથે નિષ્ઠાપૂર્વક પ્રયાસોથી સારા સંસ્કારોનું સિંચન કરવા પણ પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ, ખાનવેલના સરપંચ શ્રી મારિયાભાઈ વિલાત, દાનહ જિ.પં.ના પૂર્વ અધ્યક્ષ અને ખાનવેલ વિભાગના જિ.પં. સભ્ય શ્રીમતી નિશાબેન ભવર, જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા, શિક્ષણ સચિવ શ્રી અરૂણ ટી.,પ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલ સહિત અધિકારીઓ, ગ્રામજનો, વાલીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.