પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 2025 સુધી ‘ટી.બી. મુક્ત ભારત’ બનાવવાનાં સંકલ્પમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ અગ્રેસર રહે તે માટે પણ ઉપસ્થિત લોકોએ ‘મન કી બાત’ સાંભળી પુરી શક્તિથી પ્રેરિત થવા કરેલો નિર્ધાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ના 102મા સંસ્કરણને સાંભળવા અને નિહાળવા માટે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નિવાસ સ્થાને પ્રદેશ સ્તરીય વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશ ટંડેલ, ઉપ પ્રમુખ શ્રી મહેશ આગરિયા, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ ન.પા.ના અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા, ઉપ પ્રમુખ શ્રીમતી રશ્મિબેન હળપતિ, પ્રદેશ મીડિયા સંયોજક શ્રી મજીદ લધાણી, ભાજપના નેતા શ્રીમતી તરૂણાબેન પટેલ, પ્રદેશ ભાજપ લઘુમતિ મોર્ચાના અધ્યક્ષ શ્રી શૌકતભાઈ મીઠાણી, પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી બાલુભાઈ પટેલ, દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, ભીમપોરના સરપંચ શ્રી શાંતુભાઈ પટેલ, કડૈયાના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, દુણેઠા મંડળના અધ્યક્ષશ્રી કલ્પેશભાઈ પટેલ, ઓબીસી મોર્ચાના પ્રદેશ મહામંત્રી શ્રી ભરતભાઈ પટેલ, એડવોકેટ શ્રી બકુલભાઈ દેસાઈ, કચીગામ મંડળના અધ્યક્ષ શ્રી ગણેશ ભંડારી, આદિવાસી નેતા શ્રી વિક્રમભાઈ હળપતિ સહિત 1000 જેટલા કાર્યકર્તા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટી.બી. મુક્ત ભારત અભિયાનના કરેલા ઉલ્લેખમાં જણાવ્યું હતું કે, જ્યારે નિયત સાફ હોય, પ્રયાસોમાં ઈમાનદારી હોય તો કોઈપણ લક્ષ કઠિન નથી રહેતું. ભારતે સંકલ્પ કર્યો છે કે, 2025 સુધી ‘ટી.બી. મુક્ત ભારત’ બનાવવાનો અને જન ભાગીદારી જ ‘ટી.બી. મુક્ત ભારત અભિયાન’ની સૌથી મોટી તાકાત છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દાદરા નગર હવેલી અને દમણ-દીવે 2023ના અંત સુધી ટી.બી.મુક્ત પ્રદેશ બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરેલ છે. જેમાં પ્રદેશના જન પ્રતિનિધિઓ તથા ઉદ્યોગ ગૃહો દ્વારા પણ મળી રહેલા સહયોગથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2025 સુધી ટી.બી. મુક્ત ભારત બનાવવામાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ અગ્રેસર રહે તે માટે પણ આજે ઉપસ્થિત લોકોએ ‘મન કી બાત’ સાંભળી પુરી શક્તિથી પ્રેરિત થયા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમને ખુબ જ ગંભીરતાથી સાંભળી તેમણે કરેલાસૂચનોને અમલમાં મુકવા માટે પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મોટાભાગના શ્રોતાઓમાં તત્પરતા દેખાઈ હતી.