વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવીઃ ત્રણ દિવસ પૂર્વે જ વીજ થાંભલા અંગે જાણ કરાઈ હતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી તાલુકાના વંકાલ ગામના સંધ્યાવાડ ફળીયામાં વીજ કંપનીના આંતલિયા સબ ડિવિઝનના અધિકારીઓની બેદરકારી જીવલેણ પુરવાર થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ સંધ્યાવાડમાં રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મનહરભાઇ નરસિંહભાઇ પટેલના ઘરના પાછળથી પસાર થતી વીજ લાઈન નજીક એક બાવળનું ઝાડ છેલ્લા કેટલાક દિવસોથી નમેલું હોય એ અંગે વીજ કંપનીના કર્મચારીઓને જાણ કરાઈ હતી. બાદમાં આ ઝાડ એકદમ વીજ લાઈન પર પડવાને આરે પહોંચતા આ પરિવાર દ્વારા આંતલિયા વીજ કંપનીની કચેરીમાં 28, 29, 30 ઓગષ્ટ એમ સતત ત્રણ દિવસ ફોન કરી ફરિયાદ કરી અમારા ઘરે થાંભલો આવી પડે તેવી સ્થિતિમાં છે તે અંગે જાણ કરાઈ હતી પરંતુ વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ દ્વારા આ કોઈ જ કાર્યવાહી નકરતા ગતરાત્રે બારેક વાગ્યાના અરસામાં ધડાકાભેર થાંભલા સાથે વીજ લાઈન ઘરના પાછળના ભાગે પડતા આજુબાજુના બે ઘરોના પંદરથી વીસ સિમેન્ટના પતરાનો ભૂક્કો બોલી ગયો હતો. આ ઉપરાંત દીવાલ અને થાંભલા પણ તૂટી જતા મોટું આર્થિક નુકસાન થયું હતું.
આ ગંભીર બનાવમાં સદ્નસીબે પરિવારનો આબાદ બચાવ થયો હતો. અને જાનહાની ટળી હતી.આ પરિવારના સભ્ય નિતેષભાઈ મનહરભાઈ દ્વારા વીજ કંપનીની કચેરીમાં લેખિત રજૂઆતમાં ત્રણ દિવસ સતત ફોન કરી થાંભલો પડવાને આરે હોવાની કરેલ જાણ સહિતની વિગતો સાથે નુકસાન પેટે વળતરની માંગ કરવામાં આવી છે. ત્યારે હવે વીજ કંપનીના જવાબદારો વળતર માટે હાથ ખંખેરશે કે પછી ચૂકવશે તે જોવું રહ્યું.
ડિજીવીસીએલ આંતલિયા સબ ડિવિઝનના નાયબ ઈજનેર વી.એન.દેસાઈના જણાવ્યાનુસાર વંકાલના સંધ્યાવાડમાં ખેતીવાડીની હાઈન્ટેનશન લાઈન પર નમી પડેલ ઝાડની ડાળી અમે કાપી જ નાંખી હતી. હાલે જે ઝાડ પડેલ તે બીજું ઝાડ છે. વળતર અંગે અમારી ઉપલી કચેરી અને મામલતદાર કચેરીમાં જાણ કરેલ છે.