દિવાળીમાં ફટાકડાથી ફેલાતા કચરાનો વ્યવસ્થિત નિકાલ કરવા અપીલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: સમગ્ર રાજ્યમાં તા.15 સપ્ટેમ્બરથી તા.16 ડિસેમ્બર સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વલસાડ દ્વારા આ અભિયાનમાં જાહેર જનતાએ જોડાઈ સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
સ્વચ્છતા ઝુંબેશ હેઠળ શહેરના તમામ ફલાય ઓવરબ્રીજ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશનો, પોલીસ લાઈન, કોર્ટ સંકુલો, સરકારી વસાહત, હાઉસીંગ સોસાયટીઓની સાફ સફાઈ કરવામાં આવશે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગાંડા બાવળનું પ્રુનિંગ, ચારકોલ/કોલ બનાવવા માટેની વ્યવસ્થા, એકયુલાન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું રીનોવેશન વગેરેની કામગીરી કરવામાં આવશે. પર્યાવરણ માટે સૌથી મહત્વપૂર્ણ બાબત અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ અને કલેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. આગામી દિવાળીના તહેવાર નિમિત્તે ફટાકડા ફોડવાના કારણે ફેલાતા કચરાનો નિકાલ અને જાહેરરસ્તાની સફસફાઈ પણ કરવામાં આવશે. આ દરેક કાર્યમાં દરેક નાગરિક પોતાની નૈતિક ફરજ સમજીને ફટાકડાના કચરાને ગમે ત્યાં ન ફેકી તેનો નિયમાનુસાર નિકાલ કરે એવો અનુરોધ કરવામાં આવે છે.