(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ઓલપાડ, તા.૨૩ : યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે. યોગ અનેક રોગોને જડમૂળથી દૂર કરીને તંદુરસ્તી બક્ષે છે. યોગ આપણા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી સુખી જીવનનાં સ્તરને સુધારવાનું કામ કરે છે જે એક હકીકત છે. યોગને આખા વિશ્વમાં પહોંચાડવા માટે ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઘોષિત કરાવવામાં ભારતનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો સિંહફાળો રહ્યો છે જે સૌ ભારતીયો માટે ગૌરવની બાબત છે.
રાજ્યને સમાંતર “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીને ‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’ની થીમ સાથે સંરેખિત કરીને વૈશ્વિક એક્તા અને સુમેળભર્યા સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે પરિવર્તનકારી શક્તિને પ્રદર્શિત કરવાનાં ઉદ્દેશ્ય સાથે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત તમામ પ્રાથમિક શાળાઓમાં વહેલી સવારે સામૂહિક યોગાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાનાં બાળકો, શિક્ષક ભાઈ-બહેનો, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો, સરપંચો તથા ગ્રામ પંચાયત સભ્યો, સ્થાનિક આગેવાનો ઉપરાંત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
સદર કાર્યક્રમની ઉજવણીનાં ભાગરૂપે બી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી બ્રિજેશ પટેલ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ઓલપાડ ખાતે, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ શ્રી બળદેવ પટેલ કુદિયાણા પ્રાથમિક શાળા ખાતે, મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ ઠાકોર બલકસ પ્રાથમિક શાળા ખાતે, મહિલા ઉપ પ્રમુખ શ્રીમતી જાગૃતિ પટેલ કરંજ પ્રાથમિક શાળા ખાતે જ્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નગીન પટેલ મંદરોઇ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં. તમામ પ્રાથમિક શાળાઓ બાળકોને શિક્ષકો દ્વારા યોગની મહત્તા સમજાવવામાં આવી હતી. યોગને રોજની દિનચર્યામાં સમાવી લેવા સૌને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેટલીક શાળાઓમાં યોગ વિષયક વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ શ્રી વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.