-
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ત્રિ-દિવસીય દાનહના પ્રવાસે
-
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સંવેદનશીલ અને તટસ્થ અભિગમથી નરોલીના નાના દુકાનદારો ખુબ જ પ્રભાવિત થયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આજથી ત્રિ-દિવસીય દાદરા નગર હવેલી યાત્રાનો પ્રારંભ થયોહતો. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નરોલી ચાર રસ્તાથી ભવાની માતા થઈ કનાડી ફાટક સુધીના થઈ રહેલા રસ્તાના વિસ્તૃતિકરણના સર્વેનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં એક તરફ રોડના એલાઈન્મેન્ટમાં ફરક દેખાતા પ્રશાસકશ્રીએ પોતે જાતે ગાડીમાંથી ઉતરી સ્થળ ઉપર સંબંધિત અધિકારીઓને બંને બાજુ કઈ રીતે સરખું એલાઈન્મેન્ટ લેવું તેનો નિર્દેશ આપ્યો હતો અને તેમની ઉપસ્થિતિમાં એલાઈન્મેન્ટ લેવડાવ્યું હતું. આ ઘટનાના સાક્ષી બનેલા ગ્રામજનો પ્રશાસકશ્રીના સંવેદનશીલ અને તટસ્થ અભિગમથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને આનંદની લાગણી પ્રગટ કરી હતી. કારણ કે, એક બાજુ લીધેલા વધુ એલાઈન્મેન્ટના કારણે નાના દુકાનદારોની દુકાનોનો નુકસાન થવાની સંભાવના હતી, તેમાં હવે રાહત મળવાની આશા પેદા થઈ છે.
પ્રશાસકશ્રીએ નરોલી પ્રવેશ દ્વારથી નરોલી પ્રાથમિક કેન્દ્ર શાળા, પંચાયત ઘર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અથાલ-લુહારી રોડ, ખરડપાડા પંચાયત ઘર, લુહારી ટુરિઝમ સાઈટ, લુહારી ચેકડેમ અને અથાલ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું.
રાત્રિના લગભગ 8:30 વાગ્યા સુધી અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો વગેરેને ખડેપગે રહેવાની ફરજ પડી હતી. પ્રશાસકશ્રીએ દરેક પ્રકલ્પનું ખુબ જ બારિકાઈથી નિરીક્ષણ કરી સંબંધિતોને જરૂરી દિશા-નિર્દેશ પણ આપ્યા હતા.
આવતી કાલે પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો યાત્રી નિવાસ ખાતેના ફલાઈ ઓવર બ્રિજના નિરીક્ષણ સાથે બીજા દિવસના કાર્યક્રમનો પ્રારંભ થશે.