(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: ‘સંસ્કૃતિ’ વલસાડ આપણી ભારતીય સંસ્કળતિનો પ્રચાર થાય ગુજરાતી ભાષાનો જાળવણી થાય અને આપણા સૌનો દરેક પેઢીનું સોશિયલ લર્નિંગ થાય એવા પ્રોગ્રામ અવારનવાર ગોઠવે છે. આવા જ એક કાર્યક્રમના ભાગરૂપે આર.જે. દેવકીનો એક અદભુત નાટયપ્રયોગ અને અભિનય યોજાઈ ગયો. સંસ્કળતિ ગ્રુપે એવું પ્લેટફોર્મ છે કે જે વર્ષમાં ઘણીવાર આંતરરાષ્ટ્રીય પ્રખ્યાત વક્તાઓ અને આપણી આસપાસને અનેક પ્રતિભાવોના કાર્યક્રમો યોજવાનુ સરાહનીય કાર્ય કરે છે.
‘સંસ્કૃતિ’, વલસાડ દ્વારા આ અઠવાડિયામાં બે લાજવાબ કાર્યક્રમોનું આયોજન થયું. રમજાન હસાણિયાનું ‘માનવતાના મસીહા – માધવ, મોહમ્મદ અને મહાવીર ‘વિષયક મનનીય વક્તવ્ય અને મનોજ શાહ નિર્મિત, દિગ્દર્શિત નાટક‘અદ્ભુત’ માનવ મનનાં ઊંડાણમાં જઈ એના મંથનનો તાગ મેળવવાં મથતું એકપાત્રી અભિનયનું પોત ધરાવતું છતાં સમગ્ર દર્શકવૃંદને સતત બે કલાક પોતાનાં વશમાં રાખતું દેવકી અભિનિત આ નાટક માણ્યા પછી એક જ શબ્દ ફૂટે ‘અદ્ભુત’ !દર્શકવૃંદ નાટયપ્રયોગમાં સહભાગી થાય, અભિનેત્રી સાથે તાદાત્મ્ય સાધે, પોતીકાપણું અનુભવે અને કયાંક પોતાનું જ પ્રતિબિંબ જુએ એ રીતે સતત બે કલાક દેવકીનાં એકપાત્રી અભિનયની લહેરો ઊઠતી રહે, છતાં કયાંય વિક્ષેપનો અનુભવ ન થાય તે જ નાટકની સફળતા. બાળપણથી યુવાની અને આગળ એમ જીવનના જુદા જુદા તબક્કામાં બનતી ઘટનાઓને જોવાની અનુભવવાની અભિવ્યક્તિને તાદૃશ કરતું આ નાટક અંતે નાટક ન રહેતાં દર્શક સમૂહ માટે કયાંક પોતાનાં જ જીવનનો ભાગ જ બની રહેતું હોય એવું લાગે છે.
‘સંસ્કૃતિ’ જૂથને એકજૂટ રાખવાનું કાર્ય તો ટીમના બધા જ સભ્યો અરસપરસ સદ્ ભાવથી કરે છે. સંસ્કળતિના સ્થાપક મિત્રો ડો.કુરેશી, દિનેશભાઈ સાકરીયા, ચેતન ચાંપાનેરી તેમજ ડો.પીયૂષ પટેલ, કેદાર, આશાબેન શાહ, બકુલાબેન દેસાઈ, ડો.દેવાંગ દેસાઈ, ડો.પ્રતિચી, ઉમેશ શુક્લ, ભાષીન દેસાઈ, મૈત્રી દેસાઈ, અને અન્ય સભ્યોને પોતાની અવિરત વ્યસ્તતા વચ્ચે આ કાર્યક્રમના આયોજનમાં ખૂબ જ મહેનત કરી. દર્શકસમૂહે ‘સંસ્કૃતિ’ના આ પ્રયત્નોને ખૂબ જ વધાવ્યા. દર્શકોમાં મોટા ભાગે પ્રબુદ્ધ નાગરિકો હતા જેઓ વાંચે, વિચારે અને મુખ્યપ્રવાહથી પરિચિત હોય જ ઉપરાંત જેમની પાસે પોતાની સમજ અને દૃષ્ટિ છે. સાંઈલીલા મોલના હોલની પણ નોંધ તો લેવી જોઈએ. એવું લાગે છે કે વલસાડ એનાં મૂળ મિજાજમાં ગતિશીલતા ધારણ કરી રહ્યું છે ! ભૂતકાળમાં આવી પ્રવૃત્તિઓ વલસાડની વાતાયન, સંસ્કાર મિલન, પ્રબોધિની જેવી સંસ્થાઓ કરતી તેની યાદ તાજી થઈ.મૈત્રી દેસાઈએ ‘સંસ્કૃતિ’, અદ્ભુત, દેવકી અને મનોજ શાહ માટે ટૂંકમાં સરસ પ્રસ્તાવના રજૂ કરી. બંને કાર્યક્રમો સફળ રહ્યા. દર્શકોમાંથી પાત્રો ઊભાં કરી ભજવવામાં દેવકીએ જેમને રંગભૂમિ પર આમંત્રિત કર્યાં. દેવકીએ આપેલો કાર્ડ કાર્ડ થકી પ્રેક્ષકોને નાટકમાં ભાગ લેવાનો મોકો મળ્યો. બે કલાક દેવકીએ પકડ જમાવી રાખી.
‘સંસ્કૃતિ’ વર્ષમાં બેથી ત્રણ વાર જાહેર કાર્યક્રમો સ્વખર્ચે કરી એમના મિત્રોને આમંત્રે છે. અને બે ત્રણ મહિને 40 50 મિત્રો વિવિધ ક્ષેત્રના કલાકારોને બોલાવીને બેઠકના કાર્યક્રમો કરે છે.