(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ‘સૌને પૌષ્ટિક આહાર’ના સપનાને સાકાર કરવા માટે પ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક ઉત્કૃષ્ટ પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગની ‘સક્ષમ આંગણવાડી’ અને ‘પોષણ 2.0′ યોજના હેઠળ દાનહ અને દમણ જિલ્લાની 365 જેટલી આંગણવાડીકેન્દ્રો પર બાળકોને અક્ષય પાત્ર યોજના દ્વારા બાળકોને શુદ્ધ સાત્વિક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પહોંચાડવામાં આવશે.
આજે સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ અને દાનહ કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાએ અક્ષય પાત્ર યોજનાનો સેલવાસ ઝંડાચોક ખાતેની આંગણવાડીથી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા લેવામાં આવી રહેલ પગલાંથી ફક્ત બાળકોને જ નહીં પરંતુ સમગ્ર સંઘપ્રદેશને સંપૂર્ણ રીતે કુપોષણ મુક્ત બનાવવામાં પણ પૌષ્ટિક આહાર લાભદાયી નિવડશે.
યોજના અંગે વધુ જાણકારી આપતા શ્રીમતી ભાનુ પ્રભાએ જણાવ્યું હતું કે, કંપનીઓના સી.એસ.આર. અંતર્ગત પાયલોટ યોજનાના આધાર પર પહેલાં ત્રણ મહિના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. જેનાથી દાનહની 303, દમણની 62 આંગણવાડી કેન્દ્ર પર 02 થી 06 વર્ષના બાળકોને અક્ષય પાત્ર યોજનાના હેઠળ સેન્ટ્રલાઈઝડ કિચન દ્વારા શુદ્ધ, સાત્વિક, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પહોંચાડવામાં આવશે. આ પહેલથી સંઘપ્રદેશમાં અંદાજીત 10 હજાર જેટલા બાળકોને એક સમાન પૌષ્ટિક ભોજનનો લાભ મળશે.
અત્રે યાદ રહે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં કુપોષણ મુક્ત સંઘપ્રદેશ બનાવવાના સપનાને સાકાર કરવાની દિશામાં મહિલા અને બાળવિકાસ વિભાગ કટિબદ્ધ છે.