(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: ધરમપુરના અંતરિયાળ સીગરમાળ ફળિયાના પાથરપાડા ગામના એક ગરીબ આદિવાસી દિકરીને શ્વાસની નળીમાં કોઈક ફળનું બી ફસાઈ જતા એને શ્વાસની તકલીફ થવા માંડી હતી.
મા બાપ તુરંત એને ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં લઈ ગયા હતા. સર્પદંશના નિષ્ણાંત ડોક્ટર ડી.સી. પટેલે પરિસ્થિતિની ગંભીરતા પારખી તુરંત શ્વાસ નળીમાં ટયુબ નાખી વલસાડ વલસાડના ઝેનિથ ડોક્ટર હાઉસમાં ઓક્સિજન અને સ્ટાફ સાથે મોકલી આપી હતી.
વલસાડ બાળકી પહોંચી ત્યારે એના ધબકારા ફક્ત 30 હતા અને ઓક્સિજન લેવલ ઘટીને 30 ટકા થઈ ગયું હતું. ડોક્ટરોની ટીમે તુરંત નિર્ણય લઈને શ્વાસ નળીને દૂરબીનથી તપાસ કરવાનું નક્કી કર્યું હતું. ડો.મિતેશભાઈએ અને એનેસ્થેટિસ્ટ ડો.ગૌતમભાઈએ આ અતિ મુશ્કેલ કામ હાથમાં લીધું હતું. પ્રોસિજર દરમિયાન બાળકીની પરિસ્થિતિ હજુ બગડી શકે અને મૃત્યુ શુધ્ધા થઈ શખે એવું હતું. જોખમી અનેજટિલતા ભર્યા ઓપરેશન દરમિયાન ઓક્સિજન લેવલ 20 ટકા સુધી પહોંચી ગયુંહ તું અને ધબકારા 20ની આસપાસ ચાલતા હતા. બાળકી મૃત્યુની નજીક નજીક હતી એમ કહીએ તો પણ ખોટું નહીં. ખૂબ જ મહેનત બાદ બી કાઢી નાખવામાં ડોક્ટર મિતેશ મોદીને સફળતા મળી હતી ત્યારે ડોક્ટરોની ટીમ અને ઓપરેશન થિયેટરમાં જીવ આવ્યો હતો અને સૌના ચહેરા પર હાશકારો ફરી વળ્યો હતો. બી કાઢયા બાદ થોડી મિનિટોમાં જ બાળકીની પરિસ્થિતિમાં સુધારો થવા માંડયો હતો. હાલમાં બાળકીનું ઓક્સિજન લેવલ અને ધબકારા નોર્મલ સ્થિતિમાં છે. બાળકી હમણાં આઈસીઓમાં દેખરેખ અને સારવાર હેઠળ છે.
દર્દીની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હોવાથી ડો.મિતેશભાઈએ પોતાનો પ્રોસિઝરનો અને સારવારનો તેમજ ડો.ગૌતમભાઈએ પોતાનો એન એસ થીસિયાનો કોઈપણ પ્રકારનો ચાર્જ ન લેવાનું હોસ્પિટલને જણાવ્યું. હોસ્પિટલે પણ પોતાનું બિલ ન લેવાનો નિર્ણય લીધો છે. દીકરીનો જીવ બચી જવાથી અને હોસ્પિટલના આ નિર્ણયથી દર્દીના માતા-પિતાના ચહેરા પર હર્ષના આંશુ હતા.
ડોક્ટર કુરેશીએ ડોક્ટર ડેનાં દિવસે આવી અમૂલ્ય સેવા બદલ ડોક્ટર મિતેશ મોદી અને ડોક્ટર ગૌતમ પરીખને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અને હોસ્પિટલના સ્ટાફની અને ઓપરેશન થિયેટરની ટીમની સેવાને બિરદાવી હતી.