(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલીના મસાટથી ખાનવેલ તરફ જતો રસ્તો અત્યંત જર્જરિત અને ખખડધજ બની જવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. આ રસ્તા ઉપરથી રોજબરોજ પસાર થતા વાહન ચાલકોના જણાવ્યા અનુસાર છેલ્લાં ચાર વર્ષથી રસ્તો જર્જરીત હાલતમાં જ છે. તંત્રને પણ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. હાલમાં વરસાદના સમયે વાહન ચલાવવા ખુબ જ મુશ્કેલ થઈ જાય છે. રસ્તા ઉપર પાણી ભરાયેલ હોવાને કારણે ખાડાનો અંદાજ પણ નહીં આવતા નાના વાહનચાલકો અકસ્માતનો શિકાર બની રહ્યા છે. વારંવાર ખરાબ રસ્તાના મુદ્દે પ્રશાસન અને જન પ્રતિનિધિઓ સમક્ષ ફરિયાદો કરવામાં આવે છે, છતાં પણ યોગ્ય સંતોષકારક જવાબ મળતો નથી.
જન પ્રતિનિધિઓ ચૂંટણી સમયે અને મંત્રી-નેતાઓની મુલાકાત સમયે જ પ્રજા સમક્ષ પ્રગટ થાયછે, બાકીના સમયે અદ્રશ્ય રહેતા હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા પણ યોગ્ય નિરીક્ષણ કરવું એ તેમની નૈતિક ફરજ છે. કારણ કે, સારા રસ્તા બન્યા બાદ પણ પહેલા વરસાદમાં જ ડામર માટી મટીરીયલ અલગ થઈ વહી જાય છે એવું મોટાભાગે જોવા મળતું હોય છે.
ગત વર્ષે બનેલ રીંગરોડ પરના ખાડાઓના કારણે વરસાદમાં કેટલીક દુર્ઘટનાઓનું કારણ બન્યા હતા. આવા જે રદ્દી કામ કરનાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલીસ્ટ ઘોષિત કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવી લોકમાંગ પ્રબળ બની છે.