(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ છે ત્યારે દાદરા નગર હવેલીના આંબોલી ડુંગરીપાડા ગામમાં આઝાદીના 75 વર્ષો બાદ પણ રસ્તો નહીં હોવાને કારણે ગામના યુવાનોએ ભેગા થઈ તેઓએ પોતાની શ્રમ શક્તિનો ઉપયોગ કરી રોડ મટીરીયલ નાખી રસ્તાનું નિર્માણ કરી એક ઉદાહરણ પુરૂં પાડયું છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર રસ્તાના નિર્માણ માટે ગામના સરપંચ સહિત જિલ્લા પંચાયતના સભ્ય અને અન્ય પદાધિકારીઓને વારંવાર રજૂઆતો કરી હતી. પરંતુ જન પ્રતિનિધિઓએ આ તરફ કોઈ લક્ષ્ય આપ્યું નથી. હાલમાં જ્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે જેના કારણે ધોધમાર વરસી રહેલા ભારે વરસાદના કારણે ગામના લોકોને રોજીંદા અવરજવર માટે ભારે તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે.જેને ધ્યાનમાં લઈ ગામના યુવાઓ ભેગા થઈ પ્રશાસનની રાહ જોયા વિના જાતે જ રોડ મટીરીયલ નાખી રસ્તાનું નિર્માણ કર્યું છે જે સૌના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ગામના આદિવાસી યુવાઓ દ્વારા આ પ્રેરણાદાયક કાર્ય કરવામાં આવ્યું છે.