તંત્રએ રહીશોને મોડી રાતે સેલટર હોમમાં ખસેડયા : સુવિધાના અભાવે લોકો રાતભર અટવાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વલસાડ શહેરની મધ્યમાં શાકભાજી માર્કેટમાં આવેલ 120 આવાસનો 50 ફૂટ જેટલો સ્લેબ રાત્રે 9 વાગ્યાના સુમારે અચાનક ધરાશયી થતા રહીશોના માથે આભ તૂટી પડયાનો અહેસાસ થયો હતો. વહીવટી તંત્રએ રહીશોને સેલ્ટર હોમમાં ખસેડયા હતા તેમજ દુર્ઘટનામાં ત્રણેકને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.
વલસાડ શાકભાજી માર્કેટ પાસે 120 આવાસીય મકાનો જર્જરીત થઈ ચૂક્યા છે. 40 વર્ષ પહેલાની આ ખખડધજ ઈમારતમાં લોકો જીવના જોખમે રહે છે. પાલિકાની બેદરકારીને લઈ જાહેર સલામતિ માટે આ ઈમારત જોખમી બની હોવા છતાં પાલિકા નજરઅંદાજ કરી રહેલ છે. પરિણામે ક્યારેક મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહી. રવિવારે 9 વાગ્યાના સુમારે આ આવાસનો આશરે 50 ફૂટનો સ્લેબ અચાનક જમીન દોસ્ત થતા લોકોમાં નાસભાગ મચીહતી. આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. કોઈ ઘાયલ થયું છે કે કેમ તેની જાણકારીમાં લાગ્યા હતા. બીજી તરફ પાલિકાએ રહીશોને નજીકના સેલ્ટર હોમમાં ખસેડી દીધા હતા. પરંતુ તેમાં કોઈ સગવડ નહી હોવાથી લોકો રાતભર અટવાતા રહ્યા હતા અને આજે સોમવારે ઈમારતનું ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.