વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16
15મી ઓગસ્ટ 2022ના રોજ દેશભરમાં સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આઝાદીનો અમૃત મહોત્સવ શાનદાર રીતે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ કેમ પાછળ રહી જાય! આજ વાતને ધ્યાનમાં રાખી પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં પણ બે દિવસ પૂર્વ શાળાનાં ટેરેસ ઉપર ઝંડો ફરકાવી ‘‘હર ઘર તિરંગા” કાર્યક્રમમાં સહભાગ થવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ સાથે જ 15મી ઓગસ્ટના દિવસે શાળાના પટાંગણમાં સવારે 7:30 વાગ્યે ધ્વજારોહણ કરી ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વપ્રથમ ધ્વજારોહણ કર્યા બાદ શાળાની ધોરણ-6 થી 9 ની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગતનૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધોરણ-8 અને 9ના વિદ્યાર્થીઓ દ્વારા ‘આપણો તિરંગો’ વિષય ઉપર ખૂબ જ સુંદર નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ધોરણ-6 થી 8 વિદ્યાર્થીઓ દ્વારા ‘સત્યમેવ જયતે’ ગીત ઉપર ખૂબ જ સુંદર ડાન્સ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે શાળાનાં આચાર્યશ્રી અનુપમ ઉપાધ્યાયે 75મા સ્વાતંત્ર્ય પર્વની સૌને શુભેચ્છા પાઠવી હતી અને ‘‘હર ઘર તિરંગા” કાર્યક્રમમાં જોડાઈ આઝાદીનાં સાચાઅર્થને જીવનમાં ચરિતાર્થ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.