(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.04: છેલ્લા કેટલાક સમયથી આદિવાસી સમાજની દીકરીઓ પર બળાત્કાર, હત્યા તથા ચોરી જેવા આરોપો મૂકી માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા પર મજબૂર બને એવા કિસ્સાઓ સમગ્રગુજરાતમાં બની રહ્યા છે. તે પછી 21-6-2023 ના રોજ રાત્રે 11:00 વાગે આદિવાસી સમાજની દીકરીને આરજેડી ઈચ્છાપોર ખાતે ચાલતી કન્સ્ટ્રકશન સાઈડ પરથી અજાણ્યા ઈસમો દ્વારા અપહરણ કરી ઉઠાવી જઈ બળાત્કાર કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી અર્ધમરણ અવસ્થામાં રસ્તા પર ફેંકી જઈ ભાગી જનારા હોય કે કપડેટા સચિન સુરતનો બનાવ હોય કે બારડોલી ખાતે રહેતી અને પલસાણા નર્સિંગમાં ભણતી આદિવાસી સમાજની દીકરી પર શિક્ષિકા દ્વારા 10000 ની ચોરીનો ખોટો આરોપ મૂકી માનસિક રીતે હેરાન કરી આત્માહત્યા કરવા સુધીની હેરાનગીરી હોય આ તમામ કિસ્સાઓમાં આદિવાસી સમાજની દીકરીઓજ ભોગ બની છે.
આવા હિન કળત્ય કરનારા નરાધમોને ફાંસી જેવી સખ્તમાં સખ્ત સજા થાય જેથી આવા હિન કળત્યોનો ભોગ બનેલ આદિવાસી દીકરીઓને ત્વરિત ન્યાય મળે એ હેતુસર આજરોજ સમસ્ત આદિવાસી સમાજ પારડી દ્વારા ગુજરાત રાજ્ય ગૃહ મંત્રીને પારડી મામલતદાર મારફતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આજના આ કાર્યક્રમમાં સમસ્ત આદિવાસી સમાજ, પારડી તરફથી કપિલકુમાર કાંતિભાઈ હળપતિ, બિપીનભાઈ મોહનભાઈ પટેલ, ધર્મેશભાઈ ચીમનભાઈ હળપતિ, જીતેશભાઈ મનુભાઈ હળપતિ, દેવેન્દ્રભાઈ રમેશભાઈ રાઠોડ, છોટુભાઈ નારણભાઈ હળપતિ, સુનીલભાઈ હળપતિ, ગૌરવભાઈ,સુરેશભાઈ પટેલ, વિરલભાઈ રાઠોડ વિગેરેનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.