(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા 1લી જુલાઈથી ‘વનમહોત્સવ-2023’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તિનોડા ગામમાં વન વિભાગ સહિત પોલીસ વિભાગ, મેડિકલ ટીમ અને શાળાના વિદ્યાર્થીઓ સાથે લગભગ 15 હેક્ટર વિસ્તારમાં 900 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોના છોડોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં વન વિભાગ દ્વારા આ વર્ષે દાનહના વિવિધ વિસ્તારમાં 510 હેક્ટરમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને 1350 જૂના પ્લાન્ટેશનને મેન્ટેનન્સનું કામ કરવામાં આવશે. જેમાં સાગ, ખેર, સીસમ, બહેડા, સિવણ, વાંસ, જાંબુ, આમળા, સીતાફળ, મહુડો જેવા વૃક્ષ રોપવામાં આવશે.
વૃક્ષારોપણ દરમિયાન વન વિભાગના સીસીએફ એમ.રાજકુમાર, સી.એફ. પ્રશાંત રાજગોર, ડી.સી.એફ. રાજતિલક, શ્રી થોમસ વર્ગિસ, એસીએફ શ્રી વિજયકુમાર પટેલ તથા એસ.પી. શ્રી રાજેન્દ્ર પ્રસાદ મીણા, એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન, પીઆઈ, પીએસઆઈ, પોલીસ વિભાગની ટીમ, મેડીકલ ટીમ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વૃક્ષોના છોડનું વાવેતર કર્યું હતું.