પ્રથમ ચરણમાં દાદરા, સામરવરણી અને મસાટ ગ્રામ પંચાયતના કુલ 95 પ્રધાનમંત્રી (ગ્રામીણ) આવાસ પ્લસ યોજનાના લાભાર્થીઓને આપેલી સમજણઃ યોજનામાં મંજૂર થયેલા ઘરો સમયમર્યાદામાં પૂર્ણ નહીં થયા તો સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ તમામ સહાયના નાણાં એમની જમીન ઉપર બોજારૂપે આકરવાની આપવામાં આવેલી ચિમકી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)-આવાસ પ્લસ યોજનામાં મંજૂર થયેલા તમામ ઘરો 31મી ડિસેમ્બર 2023 સુધી પૂર્ણ કરવા માટે જિલ્લા પંચાયતના તંત્રએ કમર કસી છે. જેના અનુસંધાનમાં આજે દાદરા, સામરવરણી અને મસાટ ગ્રામ પંચાયતના કુલ 95 લાભાર્થીઓ સાથે જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો અને ગ્રામ પંચાયતના વોર્ડ સભ્યો જોડે એક મીટિંગ લઈ માર્ગદર્શન આપ્યું હતું. દાનહ જિ.પં. અંતર્ગતની તમામ 20 ગ્રામ પંચાયતોમાં આવાસ પ્લસ યોજનાનાતમામ લાભાર્થીઓ અને જિલ્લા પંચાયતના સભ્ય, સરપંચો તથા પંચાયતોના સભ્યો જોડે પણ મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્મા બેઠક કરી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ની માર્ગદર્શિકા પ્રમાણે ઘર બનાવવા અને ઘર બનાવતાં થતી મુશ્કેલીઓ વિશે માર્ગદર્શન આપવાના છે. મુખ્ય કાર્યકારી અધિકારીશ્રીએ દાદરાના 8, સામરવરણીના 16 અને મસાટના 71 મળી કુલ 95 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ની માર્ગદર્શિકા પ્રમાણે ઘર બનાવવા, મોટા ઘરો બનાવવાથી થતી મુશ્કેલીઓ સહિત અન્ય પ્રશ્નો અંગે માર્ગદર્શન આપ્યું હતું અને લાભાર્થીઓના વિવિધ પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) આવાસ પ્લસ યોજનામાં મંજૂર થયેલા તમામ ઘરો સમયમર્યાદામાં લાભાર્થી પૂર્ણ નહીં કરે તો સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ તમામ સહાયના નાણાં એમની જમીન ઉપર બોજારૂપે આકરવામાં આવશે એવી ચિમકી પણ આપવામાં આવી હતી અને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા તાકિદ કરી હતી.