સંસ્થા દ્વારા અત્યાર સુધી 13 જેટલા બાળકોના કરાયા છે દત્તક ગ્રહણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન મુજબ સંઘપ્રદેશમાં કોઈપણ માતા-પિતા દ્વારા સમર્પિત બાળક, ત્યાગ કરેલ બાળક અથવા કોઈપણ બિનવારસી બાળક કે જેના કોઈ વાલીવારસ ન હોય અનેએની ઉંમર 0 થી 6 વર્ષની હોય તેઓને દાદરા નગર હવેલી અને દમણ-દીવના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત સેલવાસના ઝંડાચોક ખાતે આવેલ ‘વિશેષ દત્તક ગ્રહણ સંસ્થા'(Specialized Adoption Agency)માં રાખવામાં આવે છે અને તેઓની સાર-સંભાળ રાખવામાં આવે છે.
પ્રાપ્ત માહિતી મુજબ 6 જુલાઈ, 2023ના ગુરૂવારે દાનહ જિલ્લા કલેક્ટર અને સમાજ કલ્યાણ સચિવ શ્રીમતી ભાનુ પ્રભા દ્વારા ‘એડોપ્શન રેગ્યુલેશન-2022′ મુજબ સંસ્થામાં એક આશ્રિત બાળકને અન્ય રાજ્યના નિવાસી માતા-પિતાને દત્તક આપવામાં આવ્યું હતું. આ આશ્રિત બાળકને દત્તક આપવા માટે કાયદાકીય રીતે મુક્ત કરાવવા (Legally free for Adoption) માટે આઈ.એ.એસ. કુ. હિમાની મીણાનો પણ મહત્વનો ફાળો રહ્યો હતો.
અત્રે યાદ રહે કે, સેલવાસ ખાતેની દત્તક ગ્રહણ સંસ્થામાંથી 13 જેટલા બાળકોનું દત્તક ગ્રહણ થયું છે. પરંતુ દત્તકવાંચ્છુ માતા-પિતાઓ જાણકારીના અભાવે વંચિત રહી જાય છે. તેથી જનતાને અનુરોધ છે કે બાળક દત્તક લેવા માટે Open Shelter Home (સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરીટી) પર ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી છે, કારણ જેના દ્વારા બાળકો દત્તક લેવા અને આપવા પારદર્શકતા અને સળરતા બની રહે અને માતા-પિતાએ બાળક દત્તક લેવા કે આપવા માટેનીરજીસ્ટ્રેશન પ્રક્રિયા હેતુ પ્રદેશ બહાર અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં.
જો કોઈ 18 વર્ષની ઉંમર સુધીના છોકરા-છોકરી ઘરેથી ભાગી ગયેલ હોય, ભીખ માંગતા બાળકો, ગુમ થયેલા બાળકો વગેરેના શિક્ષણ અને સારસંભાળ માટે ઓપન શેલ્ટર હોમ(ખુલ્લુ આશ્રય ગૃહ) પણ સેલવાસ ઝંડાચોક ખાતે કાર્યરત છે. તેથી બાળકોની સુરક્ષા માટે ઝંડાચોક સ્થિત કાર્યરત ઓપન શેલ્ટર હોમ સેન્ટર અથવા 1098 ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.