સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે એક વર્ષની અંદર દાનહ અને દમણ-દીવને કુપોષણમુક્ત બનાવવા પ્રદેશમાં મિશન મોડ ઉપર ચાલી રહેલું અભિયાન
સી.એસ.આર.અંતર્ગત સનાતન ટેક્સટાઈલ, હિન્ડાલકો ઈન્ડસ્ટ્રીઝ તથા પાવરિકા ઈન્ડસ્ટ્રીઝે કુપોષણની સમસ્યાને દૂર કરવા આપેલી જરૂરી કિટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે એક વર્ષની અંદર દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંથી કુપોષણની સમસ્યાને નેસ્તનાબૂદ કરવા આપેલા અલ્ટીમેટમ મુજબ આજે ખાનવેલ ગ્રામ પંચાયતના 11 આંગણવાડી સેન્ટરો ઉપર કુપોષિત બાળકો, સગર્ભા તથા ધાત્રી માતાઓને કુપોષણથી મુક્ત કરવા માટે બાળકો માટે પૌષ્ટિક આહાર કીટ, ય્શ્વ્જ્ બિસ્કિટ, સગર્ભા અને ધાત્રી માતાઓ માટે નાગલી(રાગી)નાલાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નોડલ અધિકારી મામલતદાર ખાનવેલ શ્રી ભાવેશ પટેલ, ખાનવેલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મારિયાભાઈ વિલાત, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી નિશાબેન ભવર, આંગણવાડી કાર્યકર્તાઓ, આરોગ્યકર્મીઓ અને સી.એસ.આર.ના અંતર્ગત સેવા આપનારા સનાતન ટેક્સટાઈલ લિમિટેડ, હિન્ડાલકો ઈન્ડસ્ટ્રીઝ તથા પાવરિકા લિમિટેડ કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં આરોગ્યકર્મીઓએ કુપોષિત બાળકોની માતાઓને આરોગ્ય અને પોષણના સંબંધમાં જરૂરી દિશા-નિર્દેશ અને માર્ગદર્શન પણ આપ્યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને નેતૃત્વમાં ચલાવવામાં આવી રહેલા અભૂતપૂર્વ કુપોષણ મુક્ત અભિયાન માટે ખાનવેલ ગ્રામ પંચાયતના કુપોષણનો સામનો કરી રહેલા બાળકો, માતાઓ તથા બહેનોની સાથે સાથે સામાન્ય લોકોએ પણ પ્રશાસનના લોક કલ્યાણકારી સંવેદનશીલ અભિગમની ઠેર ઠેરથી પ્રશંસા કરી હતી અને આભાર પણ પ્રગટ કર્યો હતો.