અનુ.જાતિ અને જનજાતિ સમુદાય માટે ઉપયોગી પુસ્તિકા તૈયાર કરવા બદલપ્રદેશના યુવા મોર્ચાને આપેલા અભિનંદન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16
દાદરા નગર હવેલી અને દમણ-દીવના બે દિવસીય પ્રવાસ માટે પધારેલા કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે આજે સેલવાસ ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે સામાજિક ન્યાય પત્રિકાનું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે અનુ.જાતિ અને જનજાતિના સમુદાય માટે આ પ્રકારની ઉપયોગી પુસ્તિકા બનાવવા બદલ કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના સેવાકીય અને સમાજ ઉપયોગી કાર્યોથી સમાજમાં એક સકારાત્મક સંદેશ જાય છે. તેમણે કાર્યકર્તાઓને મજબૂત સંગઠન બનાવવાની ચાવી પણ બતાવી હતી. તેમણે અગામી 2024ની લોકસભા ચૂંટણી માટે અત્યારથી જ જોડાવા આહ્વાન કર્યું હતું.
સામાજિક ન્યાય પત્રિકા પ્રદેશના યુવા મોર્ચા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જેમાં અનુ.જાતિ અને જનજાતિ સમુદાય માટે ભારત સરકારની વિવિધ યોજનાઓ અને તેનો લાભ કેવી રીતે લેવો તેનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ભાજપ સંગઠનના પ્રદેશ મહામંત્રી શ્રી વિવેક દાઢકર, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, સેલવાસ ન.પા.ના અધ્યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ઉપ પ્રમુખ શ્રી અજય દેસાઈ, પ્રદેશ ભાજપ મહામંત્રી મીમનિષ દેસાઈ, શ્રી મહેશ ગાંવિત, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી નવિન પટેલ, પ્રદેશ યુવા મોર્ચાના પ્રમુખ શ્રી વિશાલ પટેલ વગેરેની ઉપસ્થિતિ રહી હતી.