વલસાડ-નવસારી જિલ્લાની કનેક્ટીવીટી તૂટી પડી : 20 થી 25 કિ.મી.નો ચકરાવો ગ્રામજનો મારી રહ્યા છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: વલસાડ નજીક આવેલ જોરાવાસણ ઊંડાચ ગામને જોડતો ખરેરા નદીનો કોઝવે છેલ્લા અઠવાડીયાથી ડૂબી ગયો હોવાથી સ્થાનિક ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો કપરો સમય આવ્યો છે. વલસાડ નવસારી જિલ્લાને જોડતો આ મહત્ત્વનો કોઝવે છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા 10-12 દિવસથી લગાતાર વરસી રહેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહેતા અનેક ગામોના કોઝવે-પુલો ડૂબી ચૂક્યા છે. અનેક અન્ય રોડ રસ્તા પણ બંધ થઈ ચૂક્યા છે. સૌથી વધુ અસર ધરમપુર-કપરાડા વિસ્તારમાં પડી છે. જો કે વલસાડ તાલુકાને પણ એટલી જ અસરથઈ છે. વલસાડ નજીક આવેલ જોરાવાસણ-ઊંડાચણ ગામને જોડતો ખરેરા નદીનો કોઝવે છેલ્લા 10 દિવસથી ડૂબી ગયો છે. પરિણામે લોકોની મુશ્કેલી બેસુમાર વધી ગઈ છે. આ વિસ્તારના વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ બિલીમોરા સાથે સંકળાયેલા છે તેથી બિલીમોરા જવા માટેની કનેક્ટીવીટી પડી ભાંગી છે. 10 દિવસથી કપરી હાલતનો લોકો સામનો કરી રહ્યા છે. સ્થાનિક પંચાયત લેવલથી ત્રણ ચાર વર્ષથી કોઝવે ઊંચો કરવાની માંગણી કરવામાં આવી રહી છે. પરંતુ સ્થિતિ ઠેર ની ઠેર છે. પ્રત્યેક ચોમાસામાં આ સમસ્યાનું પુનરાવર્તન થતું રહે છે.