વલસાડથી 40 ગામોને જોડતો ઔરંગા નદી પુલ અવર જવર માટે બંધ કરાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04V વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલ બેસુમાર વલસાડથી જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુર આવી ચૂક્યા છે. જાહેરજનજીવન અને અવર જવર અતિ પ્રભાવિત બની ચૂકી છે. વરસાદે માજા મુકી દેતા જ્યાં જુઓ ત્યાં માનવી લાચાર બની ચૂક્યો છે. જિલ્લામાં સિઝનનો એવરેજ વરસાદ 75 ઈંચ જેટલો પડી ચૂક્યો છે.
વલસાડ જિલ્લામાં મેઘરાજાની મહેર હવે આફત બની ચૂકી છે. જિલ્લાની ઔરંગા, પાર, કોલક, લાવરી, તાન અને માન નદીઓ બે કાંઠે વહી રહી છે. ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. તમામ નદીઓ ઉપર નાના મોટા પુલ તેમજ અને કોઝવે બંધાયેલા છે. આ તમામ પુલ, કોઝવે ડૂબી ગયા હોવાથી અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. લોકોનો ધંધો રોજગાર વરસાદે ઠપ્પ કરી દીધો છે. તેથી વરસાદ વરદાનની જગ્યાએ આફતરૂપ બની ગયો છે. વલસાડ શહેરની હાલત વધુ કફોડી બની ચૂકી છે. કૈલાસ રોડ ઉપર આવેલ ઔરંગા નદી ભયજનક સપાટી વટાવતા પ્રશાસન દ્વારા અવર જવર માટે બંધ કરી દેવાયો છે. ઔરંગા નદી પરના પુલની પ્રત્યેક ચોમાસામાં આ સ્થિતિ ઉભી થઈ છે. પણ પ્રશાસન, એમ.એલ.એ., એમ.પી. અને રાજકારણીઓના પેટનું પાણી હાલતું નથી. ઔરંગા નદી પુલથી ખેરગામ તરફના 40 જેટલા ગામોની અવરજવર અટકી પડી છે. 15 થી 20 કિ.મી.નો ચકરાવો લોકોને મારવો પડે છે. આ વર્ષે અષાઢમાં બારે મેઘ ખાંગા થઈ ચૂક્યા છે. વધુ વરસાદથી ખેતીવાડી પણ પ્રભાવિત થઈ ચૂકી છે. છેલ્લા ત્રણ દિવસમાં અતિથી અતિ ભારે વરસાદ જિલ્લામાં વરસ્યો છે અને આજે રવિવારે પણ ચાલું જ છે.