(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: લીલીછમ વનરાઈ અને પ્રકૃતિના અનુપમસૌંદર્ય વચ્ચે ધરતી પર સ્વર્ગ એવા માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે હોળી-ધૂળીટેની દિવસે દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી છે. આ ધામમાં અલૌકિક પાઠશાળા (મંદિર)માં માઁ વિશ્વંભરીના ચૈતન્ય મૂર્તિ સ્વરૂપના દર્શન થાય છે. પાઠશાળાના ઉપરના ભાગે આવેલ હિમાલયમાં શિવ દર્શન, ગોકુલધામમાં શ્રી કૃષ્ણએ ઉંચકેલ ગોવર્ધન પર્વત તથા દ્વાપરયુગની જીવનશૈલી દર્શાવતી નંદબાબાની કુટીર, વૈકુંઠધામમાં ગીર ગાયોની આદર્શ ગૌશાળા, પંચવટીમાં શ્રીરામ-સીતાજી-લક્ષ્મણજીનું વનવાસ દરમ્યાન સંઘર્ષમય જીવનદર્શન તથા વિશાલ પરિસરમાં નારીયેળીઓ તથા કદમના વૃક્ષો વચ્ચે કુટીરો તેમજ બાગમાં સિંહ, ગજરાજ, જિરાફ, હરણ, વાનર સહિતનાં પ્રાણીઓ તથા મોર, પોપટ, કબૂતર, ચકલી વિગેરે પંખીઓની આબેહૂબ જીવંત પ્રતિમાઓ દરેકના દિલ મોહી લે છે. વિશાળા ઘટાદાર વૃક્ષો, નાળીયેરીઓ, વિવિધ ધામોનું સ્થાપત્ય-સૌંદર્ય, એ સૌની પુષ્કળ અવકાશ પૂરો પાડતી વહેંચણી, ધર્મસ્થાનોમાં ભાગે જ જોવા મળે એવી અણીશુધ્ધ સ્વચ્છતા, પાર નદીની શીતળતા લઈને વહેતો મીઠો પવન અને આ સૌની ઉપર ધામમાં પ્રવેશતાં જ પ્રત્યેક માનવીના હૃદયના ઊંડાણમાં થતી વિશિષ્ટ અનુભૂતિ- માઁ વિશ્વંભરીના આ ધામને અવિસ્મરણીય બનાવે છે.