જિલ્લાની કુલ 777 શાળામાં 81811 બાળકોને પ્રતિદિન 16362 લીટર
દૂધનું નિઃશૂલ્ક કરાઈ રહ્યું છે વિતરણ
કૂપોણને હરાવી બાળકોમાં વિટામીન, પ્રોટિન, કેલ્શિયમ અને
ખનીજ તત્વોનો સંચાર કરતી યોજના ફળદાયી નીવડી
મેંગો, સ્ટ્રોબેરી અને ઈલાયચી સહિતના વિવિધ ફલેવર્ડના દૂધ
વિદ્યાર્થીઓ રોજ હોંશે હોંશે પી રહ્યા છે
આલેખનઃ જિજ્ઞેશ સોલંકી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: આજે તા.9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી થનાર છે, ત્યારે રાજ્ય સરકારના હૈયે સદૈવ આદિવાસી બાંધવોનું હિત વસેલુ છે. આદિવાસી સમાજના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ તો અમલમાં છે જ પરંતુ રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના સશક્ત વિકાસમાટે પાયાની કામગીરી તરીકે દૂધ સંજીવની યોજના ઓળખાય છે. આ યોજના હેઠળ આદિવાસી બાળકોમાં કુપોષણ દૂર થાય તે માટે વલસાડ જિલ્લાની કુલ 777 શાળામાં 81811 બાળકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
આદિવાસી સમાજમાં કૂપોષણ સામે લડવાના મક્કમ નિર્ધાર સાથે દૂધ સંજીવની યોજના વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણનો આધાર બની રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન આદિજાતિ સમુદાયના આરોગ્ય અને પોષણના સ્તરમાં સુધાર લાવવા માટે અનેકવિધ સફળ પ્રયાસ કર્યા હતા. આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના લાખો આદિજાતિ બાળકો દૂધ સંજીવની યોજનાનો લાભ મેળવી રહ્યા છે.
આદિજાતિના ગરીબ બાળકોમાં વિટામીન, પ્રોટિન, કેલ્શિયમ અને ખનીજ તત્વોની ઉણપ દૂર કરવા માટે પૂરક પોષણ યોજના અંતર્ગત 200 મી.લી. ફલેવર્ડ દૂધ આપવાની દૂધ સંજીવની યોજના અમલમાં મુકવામાં આવી છે. જે મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, ઉમરગામ અને પારડી તાલુકાની પ્રાથમિક શાળા, આશ્રમશાળા, એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ, ગર્લ્સ રેસીડેન્સીયલ સ્કૂલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતા આદિજાતિ બાળકોને અઠવાડીયામાં પાંચ દિવસફલેવર્ડ દૂધ આપવામાં આવે છે. એક વિદ્યાર્થીને 200 મી.લી. દૂધ પ્રમાણે જિલ્લાના કુલ 81811 બાળકોને એક દિવસમાં કુલ 16362 લીટર દૂધ નિઃશૂલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. આદિવાસી બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવી આ યોજનાએ પોષણસ્તર સમૃધ્ધ બનાવ્યું છે. બાળકોને રિશેષ પડે ત્યારે ફલેવર્ડ દૂધમાં મેંગો, સ્ટ્રોબેરી અને ઈલાયચી ફલેવર્ડ પણ આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ ખુશી ખુશીથી દૂધ પીતા થયા છે. હકીકતમાં આ યોજના વલસાડ જિલ્લામાં આદિવાસી બાળકો માટે સંજીવની સમાન બની છે.
વલસાડ જિલ્લામાં કુલ 89 રૂટ પર રોજ દૂધનું વિતરણ કરાઈ રહ્યું છે. જેમાં પારડીમાં 15, ધરમપુરમાં 21, કપરાડામાં 32 અને ઉમરગામમાં 21 રૂટનો સમાવેશ થાય છે. જિલ્લામાં ધો. 6, 7 અને 8ના કુલ 110164 વિદ્યાર્થીઓમાંથી 81811 બાળકો લાભ લઈ કૂપોષણને હરાવી તંદુરસ્ત બની રહ્યા છે.
-000-