(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી,તા.20: આજરોજ 20 જુલાઈ 2023 ના મળસકે 6:00 વાગ્યે વાપી તાલુકાના છીરી માહ્યાવંશી ફળિયા ખાતે રહેતા અમિત પરમારના ઘરની પાસે લગાવેલ સેફટી જાળમાં એક અત્યંત ઝેરી એવો રસેલ વાઈપર સાંપ ફસાઈ ગયો હતો, જેની જાણ વાપીની એનિમલ રેસ્કયું ટીમ ને કરતા વર્ધમાન શાહ દ્વારા સ્થળે પહોંચી અત્યંત ઝેરી એવા રસેલ વાઈપર સાપનું ખૂબ જ સાવધાની પૂર્વક રેસ્કયું કરવામાં આવ્યું હતું.
ગંભીર રીતે જાળમાં ફસાયેલ સાંપને ખુબ જ સાવધાની અને સલામતીથી જાળ કાપી સુરક્ષિત બચાવી લેવાયો હતો. જોકે જાળમાં ફસાયેલ સાપને કાઢવા ખુબ મુશ્કેલ હોય છે કેમ કે એ સમયે સર્પદંશ થવાની સંભાવના વધી જતી હોય છે જેથી ‘સ્નેક માઉથ ઈન બોટલ’ ટેકનિક દ્વારા સાપને સુરક્ષિત બચાવી લેવાય છે જેમાં સાપના મુખને એક બોટલમાં ફસાવી સાવધાનીપૂર્વક જાળ કાપવામાં આવે છે.
રસેલ વાઈપર જેને ગુજરાતીમાં કામડીયો, ખડચિતડ અથવા ઘુણાના નામથી ઓળખવામાં આવે છે. આ સાપ ભારતના ચાર સૌથી ઝેરી સાપ જેને સર્પ દંશ માટે પ્રખ્યાત ગણવામાં આવે છે એમાંનો એક છે, જેના કરડવાથી શરીરમાં લોહી ગંઠાઈ જાય છે અને જેને કારણે શરીરના ઘણા આંતરિક અંગો નિષ્ક્રિય થઈ જતાં હોય છે અને સમયસર ઈલાજ ના કરાવતા મનુષ્યનું મૃત્યુ પણ થઈ શકે છે.
વર્ધમાન શાહનાજણાવ્યા પ્રમાણે હાલ ઘણા દિવસોથી વરસાદનું પ્રમાણ વધી ગયું છે જેથી સરીસૃપ પોતાના આશ્રય સ્થાન છોડી માનવ વસાહતોમાં પહોંચી જતા હોય છે અને જેને કારણે માનવ અને સરીસૃપમાં ઘર્ષણ જોવા મળી રહે છે પરંતુ સાવધાની રાખતા સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે. ઘરની આસપાસ બિનજરૂરી ભંગાર કે લાકડાના ઢગલા કરવા નહિ, ઘરના બારી બારણાં ચુસ્તપણે બંધ થવા જોઈએ. ઘરમાં પડેલા છિદ્રો, તિરાડો કે ખાડાઓને પૂરી દેવા જોઈએ, ઘરની આસપાસ ઉંદરો ના આવે એ માટે કચરો હંમેશા ઘરથી દૂર જ નાખવો જોઈએ.
વર્ધમાન શાહના જણાવ્યા પ્રમાણે આ અઠવાડિયામાં લગભગ મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારોમાં રાતે 10 થી સવારે 6 ના ગાળામાં સાપ ભરાઈ જવાના કિસ્સા વધુ બન્યા છે જેમાં અજગર, નાગ, વાઈપર જેવા સાપો સામેલ છે.
Next Post