(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: વલસાડ જિલ્લાના છેવાડાના વિસ્તાર ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં વધતા જતા ધર્માંતરણ અને નક્સલવાદની ઘટનાઓ અંગે કપરાડાના વડોલીના સ્થાનિક આગેવાનોએ વલસાડ કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેનાથી ભારતના વડાપ્રધાન, રાજ્યના મુખ્યપ્રધાન અને રાજ્યના ગૃહરાજ્ય પ્રધાનને આવેદનપત્રની નકલો મોકલી કાર્યવાહીની માંગણી કરી છે. વલસાડ વિભાગ જિલ્લા ધરમજાગરણ વિભાગના પ્રમુખ પરિમલ ગરાસીયાના આગેવાનીમાં સ્થાનિક વડોલીના અગ્રણીઓ ઉત્તમભાઈ, ચેન્દરભાઈ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ આપેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, રામદાસ રામુ ગહલા, કાશીનાથ શૈલી પાહુ, મંગળુ રાજારામ ગાંવિત, નવરાતી ગોપાલ ગાંવિત, દશરથ ગોપાળ ગાંવિત, સુમિત્રા રામો ગાંવિત અને સીતારામ રામદાસ ગહલા એ ગેરકાયદેસર 6 દેવળો (ચર્ચો) બનાવી સ્થાનિક કક્ષાએ ધર્માંતરણ કરી રહેલા છે તેમજ નક્સલવાદી પ્રવૃત્તિઓ કરી રહેલા છે. જેની સામે કડક અને મક્કમ કાર્યવાહીની માગણી કરેલ છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આ લોકો હિન્દુઆદિવાસી સમાજના કાર્યક્રમોની વિરૂધ્ધ કાર્યવાહી, ઝગડો ઉભો કરતાં હોય છે તેમજ આખા ગામને ખ્રિસ્તી બનાવવાની વાતો કરે છે.