(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીનાસાંસદ શ્રીમતી કલાબેન ડેલકર દ્વારા મણિપુરમાં આચરેલી જઘન્ય અને સમગ્ર દેશને શર્મસાર કરતી ઘટના અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી આરોપીઓને કડકમાં કડક સજા કરવા રજૂઆત કરી છે.
શ્રીમતી કલાબેન ડેલકરે પ્રધાનમંત્રીશ્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મણિપુરમાં થયેલ મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસાની તસ્વીરો હૃદયને કંપાવી દે એવી છે. મહિલાઓ સાથે ઘટેલ આ ભયાવહ હિંસાની ઘટનાની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે. મણિપુરની ઘટના કોઈપણ સભ્ય સમાજ માટે શર્મસાર કરનારી અને રાક્ષસી કૃત્ય છે. મણિપુરની દિકરીઓ સાથે રાક્ષસી જઘન્ય કૃત્ય કરનારાઓને કદી માફ નહિ કરી શકાય.
શ્રીમતી કલાબેન ડેલકરે જણાવ્યું છે કે, અમારી માતાઓ, બહેનોની રક્ષાના માટે કઠોર પગલાં ઉઠાવી આ ઘટનાની ઉચ્ચ સ્તરે તપાસ થાય અને ફાસ્ટટ્રેક કોર્ટમાં વહેલામાં વહેલી ઘટના બાબતની સુનાવણી કરવામાં આવે અને આવા દરિન્દોને એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ આવું રાક્ષસી કૃત્ય કરવા પહેલાં હજારવાર વિચાર કરે. તેથી આશા કરીએ છીએ કે, આપ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા યોગ્ય પગલાં લેશો.