(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સેલવાસ, તા.25 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ મુજબ દાનહમાં નવી ઔદ્યોગિક નીતિને અસરકારક બનાવવા અને નવા ઔદ્યોગિક વિસ્તારને વિકસિત કરવા તથા ઉદ્યોગો માટે ઉદ્યોગપતિઓને પડતી તકલીફો અંગેની જાણકારી મેળવી તેના નિરાકરણ માટે સેલવાસના કલા કેન્દ્ર ખાતે ઉદ્યોગ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત અને દાનહ જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાની અધ્યક્ષતામાં માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ સૌપ્રથમ માર્ગદર્શન શિબિરનું ઉદ્ઘાટન ઉદ્યોગ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત અને દાનહના કલક્ટર શ્રીમતી ભાનુ પ્રભા તથા દમણના કલેકટર શ્રી સૌરભ મિશ્રા દ્વારા સંયુક્ત રૂપે કરવામાં આવ્યું હતું.
ઉદ્યોગપતિઓ માટે આયોજીત માર્ગદર્શન શિબિરમાં વેલુગામમાં બની રહેલ નવા ઔદ્યોગિક વિસ્તારમાં થનારા વિકાસ બાબત ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી અને ઓઆઈડીસી દ્વારા બનાવવામાં આવેલ નવા ઔદ્યોગિક વિસ્તારમાં પ્લોટોની ફાળવણી અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. લગભગ 33 હેક્ટર જેટલા વિસ્તારમાં વેલુગામ સુત્રકાર હાઈવે નજીક એક નવા ઔદ્યોગિક વિસ્તારને વિકસિત કરવામાં આવી રહ્યો છે. જેમાં ઉદ્યોગપતિઓને નવા નિયમો મુજબ પ્લોટ ખરીદવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. દરમિયાન પ્રશાસન દ્વારાઉદ્યોગપતિઓ પાસે પ્રદેશના ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા માટેના મંતવ્યો અને સલાહ પણ લેવામાં આવી હતી. દાનહ અને દમણના કેટલાક ઉદ્યોગપતિઓના મંતવ્યો અને સલાહ-સૂચનો સાંભળ્યા બાદ તે મુજબ પ્રશાસનિક અધિકારીઓને નિર્દેશો આપવામાં આવ્યા હતા. જેમાં ઉદ્યોગોને તત્કાલ પાણીનો પુરવઠો પુરો પાડવો, ખખડધજ તમામ રસ્તાઓને સુચારુ બનાવવા, ફાયર એન.ઓ.સી.ને તાત્કાલિક જારી કરવા અને નવા ઔદ્યોગિક વિસ્તારમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ એ અંગે પણ આદેશ કરવામાં આવ્યા હતા. ઉદ્યોગ સંચાલકો દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાં આવતા ભારે વાહનોના પાર્કિંગ માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરવવાની પણ માંગ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સેલવાસ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ફેડરેશનના માધ્યમથી ગુજરાત ઔદ્યોગિક મોડલને અપનાવવા માટે એક પ્રેઝન્ટેશન પણ અધિકારીઓ સામે પ્રસ્તુત કર્યું હતું. આ અવસરે ઉદ્યોગપતિ શ્રી અતુલ શાહ, શ્રી અજીત યાદવ, શ્રી કલ્પેશ સોલંકી, ડી.આઇ.એ.ના પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ કુંદનાની સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.