(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: આગામી તા.14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે ત્યારે અત્યારથી જ પતંગ ચગાવવાની શરૂઆત બાળકો દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારે પતંગની ઘાતક દોરીથી બચવા માટે વલસાડના સેવા મિત્ર મંડળ અને ગોકુળ ગૃપ દ્વારા વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં ચાર હજાર સેફટી ગાર્ડ વાહન ચાલકોને લગાવી આપવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા વાઘેલાએ વાહનચાલકોને વાહન ઉપર સેફટી ગાર્ડ લગાવવા જાગૃત કર્યા હતા તેમજ ચાઈનીઝ દોરીનો વપરાશ નહીં કરવા માટે જણાવ્યું હતું. પતંગની દોરથી કોઈની અમુલ્ય જિંદગી ન કપાય તેવા આશય સાથે આ સરાહનીય પ્રયાસ કરાયો હતો. છેલ્લા 10 વર્ષથી સેવા મિત્ર મંડળ પક્ષી બચાવ અભિયાનની પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે.