જકાત રૂપે રોજના ઉઘરાવાતા રૂા.50ની રકમ વધુ હોવાથી તેને ઘટાડવા ગરીબ વેપારીઓએ કરેલી અરજઃ જકાતની ઉઘરાણી કરાયા બાદ વેપારીઓને તેની રસીદો પણ નહીં અપાતી હોવાની રાવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.26
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ન.પા. દ્વારા થોડા સમય પહેલાં જ હરાજી કરાયેલા બજારમાં બેસનાર નાના વેપારીઓ, લારી-ગલ્લાંવાળા, રેકડીવાળા તથા કેબિનધારકો પાસેથી જકાત રૂપે રોજના 50 રૂપિયા ઉઘરાવતા તમામ નાના વેપારીઓએ એડીએમ વિવેક કુમારને રજૂઆત કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દીવ ન.પા. દ્વારા થોડા સમય પહેલાં જ બજારમાં બેસતાં નાના વેપારીઓ, લારી-ગલ્લાંવાળા,રેકડીવાળા તથા કેબિનધારકો પાસેથી જકાત રૂપે રોજના રૂા.50ની ઉઘરાણી કરવામાં આવી રહી છે. જેને લઈને વેપારીઓએ એડીએમ વિવેક કુમારને મળી જકાતમાં ઘટાડો કરવાની રજૂઆત કરી હતી. તમામ વેપારીઓ જણાવી રહ્યા છે કે પૈસા ઉઘરાવ્યા બાદ તેની રસીદ પણ આપવામાં આવતી નથી. અને પૈસા ઉઘરાવવા રોજ જુદી જુદી વ્યક્તિઓ આવે છે અને તેઓ દાદાગીરી પણ કરે છે. તેથી તેઓએ વિવેક કુમારને 50 રૂપિયાથી ઓછી રકમ કરવાની વિનંતી કરી હતી. તમામ નાના વેપારીઓનું કહેવું છે કે, દિવસ દરમિયાન તેમની નાની નાની દુકાનો, કેબિનોમાં વધારે ધંધો નથી થતો, જેથી રોજ 50 રૂપિયા આપવા માટે અમે આર્થિક રીતે સક્ષમ નથી. ઉપરાંત ઘોઘલા બસ સ્ટેન્ડમાંથી થોડા સમય પહેલા કેબિનો હટાવી દેવામાં આવી હતી તો ત્યાં ફરીથી કેબિન મૂકવા માંગણી કરી હતી.
આ તમામ રજૂઆત સાંભળી એડીએમ શ્રી વિવેક કુમારે જણાવ્યું હતું કે, 50 રૂપિયામાં હવે ફેરફાર કરી શકાય નહીં. કારણ કે એ માટે મિટિંગ બોલાવી દરો નક્કી કરી નિયમો બનાવી દેવાયા છે, જેથી તેમાં કોઈ પણ ઘટાડો કરી શકાશે નહીં. તેમણે વધુમાં વેપારીઓને જણાવ્યું હતું કે, રસીદ વગર કોઈએ પૈસા આપવા નહિ, સાથે તમારા બીજા પ્રશ્નો જેમકે પૈસા વસૂલ કરનારના વ્યવહારતથા બસ સ્ટેન્ડમાં કેબીનો રાખવા મુદ્દે અમે ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરીશું. આ તમામ રજૂઆત કરવા માટે બહોળી સંખ્યામાં દીવ ઘોઘલાના નાના વેપારીઓ પહોંચ્યા હતા સાથે કાઉન્સિલરો પણ ઉપસ્તિ રહ્યા હતા.