ગામલોકો અને તંત્ર દ્વારા ભારે શોધખોળ આદરવા છતાં તણાયેલા બંને પતિ-પત્નીની કોઈ ભાળ મળી શકી નથી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.28: વલસાડ જિલ્લાને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના કરચોંડ ગામે ખેતરમાં કામ કરી રહેલ ખેડૂત પરિવારના પતિ-પત્ની ભારે વરસાદના કારણે ધસમસતા પાણીના પ્રવાહમાં નદીમાં તણાઈ જવાની ઘટના બની હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે ચતુર બારકુ ઘાંટાળ (ઉ.વ.55) અને તેમની પત્ની પોવની ચતુર ઘાંટાળ (ઉ.વ 52) રહેવાસી કરચોંડ પટેલપાડા જેઓ બન્ને પતિ-પત્ની નદી કિનારે આવેલા તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં બન્ને જણા ફસાઈ ગયા હતા. બાદમાં ઔર વધુ પાણીના ધસમસતા પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા. ગ્રામજનોનેખબર મળતાં જ તેઓએ તણાઈ ગયેલા પતિ-પત્નીની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેમનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આ ઘટના અંગેની જાણ પ્રશાસનને કરાતા તાત્કાલિક એનડીઆરએફની ટીમને કામે લગાડી દેવામાં આવી હતી અને આ બન્ને પતિ-પત્નીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ હજુ સુધી તણાયેલા પતિ-પત્નિની કોઈ ભાળી શકી નથી.
અત્રે યાદ રહે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી દાનહ સહિત મધુબન ડેમના ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ બાબતે રોજે રોજ લોકોને સૂચિત પણ કરવામાં આવી રહ્યા છે. પ્રશાસન દ્વારા સૂચિત કરવામાં આવે છે કે ભારે વરસાદમાં ભયજનક સ્થળોએ નહીં જવા અને કોઈ અતિ મહત્ત્વના કામ નહીં હોય તો ઘરની બહાર નહીં નિકળવા અપીલ કરવામાં આવે છે.