ટ્રાફિક સમસ્યાનો અંત આવશે : શહેરીજનોની સુવિધામાં વધારો થશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: વાપી ગુંજન વિસ્તાર અને આસોપાલવ વિસ્તારને જોડતો રોડ ટૂંકમાં કાર્યરત થઈ જશે. છરવાડા રોડથી ભોલેબાબા આશ્રમ રોડ તરફ જતાં રોડ ઉપર હાઈવે અંડરપાસ પ્રોજેક્ટ પુર્ણ થઈ ચૂક્યો છે. ખુબ જ ટુંકાગાળામાં બનાવાયેલ આ અંડરપાસને લોકાર્પણ કરવાની તૈયારીઓ આરંભાઈ ચૂકી છે.
છરવાડા રોડ-વાપી આસોપાલવ રોડ ઉપર તૈયાર થયેલ હાઈવે અંડરપાસનું શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ડી.વાય.એસ.પી. બી.એન. દવે, વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ તથા ટેકનિકલ સ્ટાફે સ્થળ વિઝિટ લીધીહતી. અંડરપાસની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ટ્રાફિક નિયમન માટે વૈશાલી ચાર રસ્તાથી બલીઠા પુલ તરફ જતા સર્વિસ રોડ પર સ્પીડ બ્રેકર સાથે રેડ સિગ્નલ લાઈટ વગેરેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ટ્રાફિકના જરૂરી સંચાલન અંગે પોલીસ સાથે ચર્ચા કરી હતી. વાપી છરવાડા રોડ અને ગુંજન વિસ્તારમાંથી હવે પછી સીધા વાપી જઈ શકાશે. વર્ષો જુની માંગણી હવે પૂર્ણ થઈ ચૂકી છે.