આદિવાસી વિકાસ સંગઠનનો ડેલકર પરિવારની ખાનગી મિલકત તરીકે થઈ રહ્યો હતો ઉપયોગઃ આદિવાસી ભવનની બિન આદિવાસીને ભાડે આપેલ ઓફિસો, દુકાનો તથા અભિનવ ડેલકરની સિવિલ પ્રોટેક્શન ફોર્સ દ્વારા કબ્જોજમાવેલ એક આખા માળને ખાલી કરી આદિવાસી યુવક-યુવતિઓને સુપ્રત કરવા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયાએ કરેલી માંગણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠનના મેનેજમેન્ટને બરતરફ કરવા સંઘપ્રદેશ પ્રશાસને લીધેલા નિર્ણયનું કોંગ્રેસ નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાએ સ્વાગત કર્યું છે અને તેમણે જાગૃત શિક્ષિત અને સમાજ સમર્પિત યુવાનોની નવી સમિતિ બનાવી તેમને સંગઠનનો કાર્યભાર સોંપવા પણ સૂચન કર્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદાર નગર હવેલી કોંગ્રેસના નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાએ ખેદ સાથે જણાવ્યું છે કે, સંગઠનની સ્થાપનાના પાંચ-છ વર્ષ બાદ આદિવાસી વિકાસ સંગઠન ડેલકર પરિવારની વ્યક્તિગત પ્રોપર્ટી તરીકે તેનો ઉપયોગ શરૂ થયો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 1988માં આદિવાસી કલ્યાણના ઉદ્દેશોથી શ્રી જુગલભાઈ પટેલ, શ્રી ઠાકોરભાઈ કાકડભાઈ નિકુળિયા, શ્રી અમ્રતભાઈ પટેલ, શ્રી માધુભાઈ પટેલ, શ્રી વસંતભાઈ વાઘરોડિયા, શ્રી દિલીપભાઈ પટેલ જેવા શિક્ષિત યુવાનો સાથે આદિવાસી વિકાસ સંગઠનનો પાયો નાંખવામાં આવ્યો હતો અને તેના પ્રમુખની જવાબદારી તે સમયે શ્રી મોહનભાઈ ડેલકરને આપવામાં આવી હતી. તે સમયે તમામ આદિવાસી શિક્ષિત યુવાનોએ આદિવાસી ભવન બનાવવા માટે પ્રશાસનસમક્ષ રજૂઆત કરી જમીન મેળવી હતી. આ જમીન ઉપર સરકાર અને પ્રશાસનના સહયોગ વગર સમાજની જન ભાગીદારીથી આદિવાસી ભવનનું નિર્માણ કરાયું હતું. જેનો હેતુ આદિવાસી સમાજનું ઉત્થાન અને આદિવાસી સંસ્કૃતિ અને હક અધિકાર બચાવવાનો તથા માંદોની, સિંદોની, દૂધની, કૌંચા જેવા ઊંડાણના વિસ્તારથી આવતા આદિવાસી ભાઈ-બહેનો માટે રહેવાનું એક આશ્રય સ્થાન બનાવવાનું હતું. પરંતુ જે હેતુથી આદિવાસી વિકાસ સંગઠનની રચના થઈ હતી તેનાથી વિપરીત દરેક નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરી પોતાના વ્યક્તિગત ફાયદા માટે આ ભવનનો ઉપયોગ ડેલકર પરિવાર દ્વારા કરાતો આવ્યો હોવાનો આરોપ પણ લગાવ્યો છે.
દાનહના કોંગ્રેસી નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાએ વધુમાં જણાવ્યું છે કે, આદિવાસી ભવનમાં જેટલી પણ ઓફિસો અને દુકાનો બિન આદિવાસી લોકોને ભાડે આપેલ અને અભિનવ ડેલકરની સીપીએફ સિક્યુરીટી(સિવિલ પ્રોટેક્શન ફોર્સ) દ્વારા લેવામાં આવેલ પૂરો એક માળ તાત્કાલિક ખાલી કરાવી આદિવાસી ભવનમાં બનેલ તમામ ઓફિસ અને દુકાનો ફક્ત આદિવાસીને જ આપવાની માંગણી પણ કરી છે.
શ્રી પ્રભુભાઈ ટોકિયાએ જણાવ્યું છે કે, દાદરા નગર હવેલીમાં આદિવાસી સમુદાયના સાત સમાજ છે. આદિવાસી વિકાસ સંગઠનની બનનારી કમીટિમાં તમામે તમામ સાત સમાજને યોગ્યપ્રતિનિધિત્વ મળવું જોઈએ અને સંગઠનના પદાધિકારીઓ બિન રાજકીય હોવા જોઈએ એવો મત પણ વ્યક્ત કર્યો છે.