દમણવાડા ગ્રામ પંચાયતે શરૂ કરેલ ગુટકા, તંબાકુ મુક્ત ગ્રામ પંચાયત નિર્માણના અભિયાનને મળી રહેલા સુંદર પ્રતિસાદ બદલ સરપંચ મુકેશ ગોસાવીએ ગ્રામજનોનો પ્રગટ કરેલો આભાર
બીડી-સિગારેટ પીવાવાળાના ફેફસાં તો નાજૂક બને જ છે. પરંતુ તેના ધૂમાડાથી પણ આજુબાજુના લોકોને તેટલી જ અસર થતી હોવાથી બીડી-સિગારેટ નહીં પીવા અને ક્યાંક ક્યાંક ગાંજાના ડ્રગ્સનું વ્યસન પણ હોવાની મળેલી જાણકારી સામે બહેનો-માતાઓને પરિવારમાં જાગૃત રહેવા સરપંચશ્રીએ કરેલી અપીલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.31: સંઘપ્રદેશના દમણ-દીવના આરોગ્ય વિભાગે તમામ પંચાયતોને 2023ના અંત સુધી ટી.બી. મુક્ત બનાવવા છેડેલા અભિયાનના ભાગરૂપે દમણવાડા ગ્રામ પંચાયતની ભામટી નવી નગરી ખાતે એક જાગૃતિ અભિયાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલ, ટી.બી. વિભાગના શ્રીમતી રેશ્માબેન પટેલ, આરોગ્ય વિભાગના કર્મી શ્રી રાજેશભાઈ બ્રહ્મભટ્ટ તથા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી ખાસ ઉપસ્થિતરહ્યા હતા.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારની લેવામાં આવી રહેલી કાળજી બદલ આભાર પ્રગટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ગુટકા, તંબાકુ મુક્ત ગ્રામ પંચાયતના નિર્માણ માટે છેડેલા અભિયાનને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે ખાસ કરીને નવી નગરીના ગ્રામવાસીઓને જો કોઈ તમારા ઘરમાં, પરિવારમાં કે આડોશ-પાડોશમાં ગુટકા-તમાકુ ખાતું હોય, બીડી-સિગારેટ પીતું હોય તો પંચાયતને માહિતી આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બીડી-સિગારેટની સાથે ગાંજાનો નશો પણ ક્યાંક ક્યાંક થઈ રહ્યો હોવાની માહિતી મળી છે. તેથી ખાસ કરીને પરિવારની મહિલાઓ-માતાઓને આ બાબતમાં તકેદારી લેવા વિનંતી કરી હતી.
શ્રી મુકેશ ગોસાવીએ વધુમાં જણાવ્યું હતું કે, બીડી-સિગારેટ પીવાવાળાના ફેફસાં તો નાજૂક બને જ છે. પરંતુ તેના ધૂમાડાથી પણ આજુબાજુના લોકોને તેટલી જ અસર થાય છે. તેથી બીડી-સિગારેટ નહીં પીવા પણ અપીલ કરી હતી.
આ પ્રસંગે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલે ટી.બી. માટે રાખનારી સાવચેતી અને ટી.બી. રોગીઓને પ્રશાસન દ્વારા આપવામાં આવતી સહાયની પણ માહિતી આપી હતી.ટી.બી. વિભાગના શ્રીમતી રેશ્માબેન પટેલે ટી.બી. થવાના કારણો અને પ્રકારોની સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આંખમાં પણ ટી.બી. થતી હોવાના દર્દીઓ મળી આવ્યા છે. તેથી પ્રશાસન દ્વારા શરૂ કરાયેલા અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ખાસ જણાવાયું હતું કે, ટી.બી. એ દવાથી મટતો રોગ છે. તેનું સમયસર નિદાન થવું ખૂબ જ જરૂરી છે, તેથી આરોગ્યકર્મીઓ જ્યારે ઘરે આવે ત્યારે તેમને તપાસમાં જરૂરી મદદ કરવા પણ સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચામડીના રોગો, રક્તપિત્ત, મેલેરિયા, ડેન્ગ્યુ વગેરેની પણ જાણકારી આપવામાં આવી હતી.