પ્રદેશના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ઋણ ચૂકવવા પણ આગળ આવવું જરૂરી
જો તમે સત્તાના સર્વોચ્ચ સ્થાને હોવ અને તમારી પાસે ઈચ્છાશક્તિ, દીર્ઘદૃષ્ટિ, આવડત અને વહીવટી કૂનેહ હોય તો અશક્ય જણાતા કામો પણ શક્ય બનાવી શકો તે હાલમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપમાં વિકાસની બદલેલી કરવટ ઉપરથી જોઈ શકાય છે. જેનો સીધો શ્રેય દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે કે, જેમણે આ બંને ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક તરીકે પોતાના ઈશારાને સમજી શકે અને પરિણામ લાવી શકે એવા કર્મઠ શ્રી પ્રફુલભાઈ પટેલની નિયુક્તિનો સાહસિક નિર્ણય લીધો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એવું સ્પષ્ટ માને છે કે, ભારતમાં વિચારો, સંસાધનો અને ક્ષમતાઓનો તોટો નથી. પરંતુ કેટલાક ચોક્કસ રાજ્યો અને પ્રદેશો સુશાસનની ખામીના કારણે પાછળ રહી ગયા છે. તેમાં દેશના ટચૂકડા બે કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપનો પણ સમાવેશ થતો હતો. પરંતુ છેલ્લા સાડા સાત વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સીધી કૃપાદૃષ્ટિથી દરેક ક્ષેત્રે ફૂંકાયેલા વિકાસના વંટોળના કારણે ફક્ત સામાન્ય માનવીનું જીવન જ સરળ નથી બન્યું, પરંતુ સમૃદ્ધ ભવિષ્યનો પાયો પણ નંખાયો છે. લક્ષદ્વીપમાં પણ વિકાસના થયેલા વાવેતરને હાલમાં પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત દરમિયાન તેજ હવા મળી હતી.
આગામી લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપના થનારા ભવ્ય વિજયના એંધાણ દરેક જગ્યાએથી મળી રહ્યા છે. મોદી સરકારની હેટ્રિક નિશ્ચિત હોવાનું માનવામાં આવે છે. ત્યારે આવતા દિવસોમાં ખાસ કરીને દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિકાસનું કોઈ ક્ષેત્ર બાકી નહીં રહેશે એ નિશ્ચિત છે અને સમગ્ર પ્રદેશ પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઋણી રહેશે એમાં કોઈ સંદેહ નથી. કારણ કે, અત્યાર સુધીના તમામ પ્રધાનમંત્રીઓ કે સરકારે આ ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશોની કોઈ દરકાર રાખી નહીં હતી. તેની સામે પ્રધાનમંત્રીશ્રીએ સ્વયં અંગત રસ લઈ આ પ્રદેશના લોકોનું જીવન-ધોરણ કેવી રીતે સુધરે અને તેમને એક સમૃદ્ધ રાજ્યસ્તરીય સુવિધા મળી શકે તે માટે પોતાના ઉદાર પ્રયાસો પણ કર્યા છે. આ પ્રકારનો અનુકૂળ સમય ભવિષ્યમાં ભાગ્યે જ આવશે એવું દેખાય છે. ત્યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકોએ પણ પ્રધાનમંત્રીશ્રીનું ઋણ પ્રત્યક્ષ યા પરોક્ષરીતે ચુકવવા આગળ આવવું જોઈએ એવું અમારૂં સ્પષ્ટ માનવું છે.
સોમવારનું સત્ય
હવે દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકોનું એક વિધાનસભા ગઠનનું સ્વપ્ન બાકી રહ્યું છે. બંને પ્રદેશો એક થવાથી વસતી અને વિસ્તાર પણ વધ્યો છે. લોકો પણ પોતાની ક્ષમતા અને મર્યાદા ઓળખતા થયા છે. ત્યારે આવતા દિવસોમાં પુડ્ડુચેરી કે દિલ્હીની તર્જ ઉપર કેન્દ્ર શાસિત પ્રદેશની સાથે વિધાનસભા આપવામાં આવે એવી લાગણી પ્રબળ બની રહી છે અને આ કાર્ય મોદી સરકાર જ કરી શકશે એવી લોકોમાં પણ ઊંડી આશા છે.