April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે પર રૂ. ૭.૫ કરોડના ખર્ચે તૈયાર છરવાડા અંડરપાસનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

અંડરપાસ બનતા હવે ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે અને અકસ્માતના બનાવો પણ અટકશેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

૧૫ માસની સમય મર્યાદામાં થનાર કામ માત્ર ૭ માસના ટૂંકા ગાળામાં પૂર્ણ કરી પ્રજાને સુવિધા અપાઈ

આ અંડરપાસ બનાવાથી અનેક ગામના લોકોને મોટી રાહત થશેઃ સંસદ સભ્ય ડો. કે.સી.પટેલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.0૫: વલસાડ જિલ્લાના વાપી ને.હા.નં. ૪૮ પર છરવાડા ક્રોસિંગ અંડરપાસનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વાપીમાં વિકાસના અનેક કામો થઈ રહ્યા છે. ૭ મહિના પહેલા જ આ અંડરપાસનું કામ ચાલુ થયુ હતું અને પ્રજા માટે ખુલ્લો પણ મુકી દેવાયો છે. આ અંડરપાસને પગલે હવે ટ્રાફિકમાં રાહત થશે પરંતુ અકસ્માત ન થાય તેની કાળજી રાખવી પડશે. બે માસ સુધી અહીં ૨૪ કલાક પોલીસ કર્મીને તૈનાત કરવો પડશે જેથી ટ્રાફિક નિયમન થઈ શકે. તંત્ર દ્વારા બેરીકેટ સહિતની તમામ કાળજી રખાશે પરંતુ વાહન ચાલકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે. આ અંડરપાસ માટે સંસદ સભ્ય ડો. કે.સી.પટેલના અથાગ પ્રયત્ન હતા.
સંસદ સભ્ય ડો. કે.સી.પટેલે જણાવ્યું કે, વિઠ્ઠલભાઈ પટેલ પાલિકા પ્રમુખ હતા ત્યારે તેમના પત્ની અહી રોડ ક્રોસ કરતી વેળા અકસ્માતમાં મોતને ભેટયા હતા. આ સિવાય પણ વાપીના મુખ્ય બજાર અને આનંદનગરથી વાપી જીઆઈડીસી રહેણાંક વિસ્તાર તથા છરવાડા, છીરી, બલીઠા, સલવાવ તેમજ અન્ય ગામોના લોકો વાપી છરવાડા નેશનલ હાઈવે નં. ૪૮ના ક્રોસિંગ ઉપરથી પસાર થતી વખતે અનેક વાર અકસ્માતનો ભોગ બનતા હતા. જેથી સ્થાનિક લોકોની રજૂઆતોને ધ્યાને લઈ કેન્દ્રિય મંત્રીશ્રી નીતિનભાઈ ગડકરી સાથે રૂબરૂ મુલાકાત કરી હાઈવે ઓથોરિટીના ઓફિસરને બોલાવ્યા તો તેમણે કહ્યું કે, બે ઓવરબ્રિજ હોવાથી અંડર પાસ બની શકે નહી. બાદમાં ફરી ગડકરીજીને રજૂઆત કરી અને નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ નાના વાહનો પસાર થઈ શકે તેવી ડિઝાઈનનું સૂચન કરતા આખરે આ અંડરપાસ સાકાર થયો છે. આ અંડરપાસ બનાવાથી અનેક ગામના લોકોને મોટી રાહત થઈ છે.
નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ મેનેજર રાહુલ જલાને અંડરપાસની માહિતી આપતા જણાવ્યું કે, સુરતથી વાપી સુધીનો આ નેશનલ હાઈવે દેશમાં સૌથી વધુ વ્યસ્ત હાઈવે છે. રોજની દોઢ લાખ વાહનોની અવરજવર થાય છે. આ અંડર પાસ ન હોવાથી પહેલા ગુંજનથી યુ ટર્ન લઈને ચકરાવો ખાઈને આવવુ પડતુ હતું. સંસદ સભ્ય ડો.કે.સી.પટેલ અને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની રજૂઆતને પગલે રૂ. ૭.૫ કરોડના ખર્ચે આ અંડરપાસ બન્યો છે. આ કામની સમય મર્યાદા ૧૫ માસની હતી પરંતુ માત્ર ૭ માસમાં જ કામગીરી પૂર્ણ કરી અંડરપાસ ખુલ્લો મુકાયો છે.
આ પ્રસંગે વાપી પાલિકાના માજી પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, વાપી તાલુકા પંચાયત પ્રમુખ વાંસતીબેન પટેલ, વાપી પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, જિલ્લા સંગઠનના મહામંત્રી શિલ્પેશ દેસાઈ, પારડી પ્રાંત અધિકારી ડી.જે.વસાવા, વાપી વીઆઈએના પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી પાલિકાના ચીફ ઓફિસર શૈલેષ પટેલ, વાપી નોટિફાઈડના ચીફ ઓફિસર સગર સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રદેશ સંગઠનના દક્ષિણ ગુજરાતના સોશિયલ મીડિયા ઈન્ચાર્જ સત્યેન પંડયાએ કર્યુ હતુ. જ્યારે આભારવિધિ વાપી નોટીફાઈડના સંગઠન પ્રમુખ હેમંતભાઈ પટેલે કરી હતી.

Related posts

ચીખલીમાં એલઆઈસી એજન્‍ટ એસોસિએશન દ્વારા વિવિધ માંગણીઓના ઉકેલની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું

vartmanpravah

ભિલાડના ઇન્ડિયાપાડાના ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરે 51 શક્તિપીઠના નિર્માણ માટે MLA સાહિત 11 દાતાઓનો મળ્યો સહકાર: 11 મંદિરના નિર્માણ માટે દાનની કરી જાહેરાત

vartmanpravah

દમણમાં કરાયું નુમા ઈન્‍ડિયા કરાટે કલર બેલ્‍ટની પરીક્ષાનું સફળ આયોજન

vartmanpravah

વલસાડમાં નવરાત્રી મહોત્‍સવના ડુપ્‍લીકેટ પાસનું કૌભાંડ ઝડપાયું : આયોજકોને આર્થિક નુકશાન

vartmanpravah

10 વર્ષપહેલા નિર્માણ પામેલ સેલવાસના આંબેડકર નગરના આવાસની સિલીંગમાંથી પ્‍લાસ્‍ટરનો પોપડો ખરી પડયોઃ સદ્‌નશીબે કોઈને ઈજા કે જાનહાનીની ઘટના ટળી

vartmanpravah

વાપીમાં ગાંધી સર્કલ નજીકથી નેપાળી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો : નેપાળ જવા નિકળ્‍યો હતો

vartmanpravah

Leave a Comment