-
આદિવાસી વિકાસ સંગઠનના પદાધિકારીઓના ઘર, કાર્યાલય અને ફાર્મહાઉસમાં પોલીસે સર્ચ વોરંટથી શરૂ કરેલી તપાસ
-
આદિવાસી વિકાસ સંગઠન દ્વારા દાનહના આદિવાસીઓના કલ્યાણના ઓથા હેઠળ અત્યાર સુધી ઉદ્યોગો પાસેથી ઉઘરાવેલા કરોડો રૂપિયાના નામી-બેનામી હિસાબો છુપાવવા દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસિસની ચોરી કરાઈ હોવાનો મજબૂત બનેલો મત
-
સંઘપ્રદેશ પ્રશાસને શરૂ કરેલા શુદ્ધિકરણ અભિયાનમાં આદિવાસી વિકાસ સંગઠનના નેજા હેઠળ થયેલ અનેક કૌભાંડો અને ભેદભરમો બહાર આવવાની પ્રબળ બનેલી સંભાવના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠનદ્વારા સંચાલિત આદિવાસી ભવનમાં દસ્તાવેજો તથા ઈલેક્ટ્રોનિક ડિવાઈસિસની ચોરીના આરોપ હેઠળ 4 વ્યક્તિઓની ધરપકડ કરાયા બાદ વધુ 3ની ધરપકડ થતાં આ પ્રકરણમાં અત્યાર સુધી 7 શખ્સોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે.
આજે સેલવાસ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.એસ.આઈ. શ્રી અનિલ ટીકેએ આપેલી માહિતી પ્રમાણે કોર્ટ દ્વારા સર્ચ વોરંટ મેળવી કાર્યવાહીને વધુ સઘન બનાવવામાં આવી છે.
આદિવાસી વિકાસ સંગઠનના પ્રમુખ તરીકે વર્તમાન સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર અને ઉપ પ્રમુખ તરીકે તેમના પુત્ર શ્રી અભિનવ ડેલકર કાર્યરત હોવાથી તમામ દસ્તાવેજો આ બંને પદાધિકારીઓના તાબામાં રહેતા હોવાની કેફિયત ધરપકડ કરાયેલા આરોપીઓ અને સ્ટાફ દ્વારા પોલીસને આપવામાં આવેલ હોવાની માહિતી મળી રહી છે. જેના કારણે આજે પોલીસે કોર્ટ પાસેથી સર્ચ વોરંટ મેળવી આદિવાસી વિકાસ સંગઠનના પદાધિકારીઓના ઘરે અને તેમના કાર્યાલય ઉપર પોલીસ દ્વારા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આદિવાસી વિકાસ સંગઠન દ્વારા દાદરા નગર હવેલીના આદિવાસીઓના કલ્યાણના ઓથા હેઠળ અત્યાર સુધી કરોડો રૂપિયાની ઉઘરાણી ઉદ્યોગો પાસેથી કરાઈ હતી. જેના સંબંધિત દસ્તાવેજો આદિવાસી ભવન ખાતે હોવાનું માનવામાં આવે છે અને આદસ્તાવેજો જો પોલીસના હાથમાં આવે તો અત્યાર સુધી પ્રદેશના આદિવાસીઓના નામ ઉપર કરાયેલી કરોડો રૂપિયાની ઉઘરાણી ઉપરથી પડદો હટવાની સંભાવના છે. તેથી દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસિસની ષડ્યંત્રપૂર્વક ચોરી કરાઈ હોવાનું પણ ઉજાગર થઈ રહ્યું છે.
અન્ય ત્રણની કરાયેલી ધરપકડમાં ડેલકર પરિવાર સાથે શરૂઆતથી ઘરોબો ધરાવતા અને પડછાયો બનીને નિઃસ્વાર્થ રીતે કામ કરતા મનોજ સોનીનો પણ સમાવેશ થાય છે. મનોજ સોની સહિતના આરોપીઓ પાસે ઘણી સંવેદનશીલ જાણકારી હોવાની શક્યતા પોલીસ તંત્રમાં વ્યક્ત થઈ રહી છે.
સંઘપ્રદેશ પ્રશાસને શરૂ કરેલા શુદ્ધિકરણ અભિયાનમાં આદિવાસી વિકાસ સંગઠનના નેજા હેઠળ થયેલ અનેક કૌભાંડો અને ભેદભરમો બહાર આવશે એવી આશા પ્રબળ બની રહી છે.