(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના સંયુક્ત ઉપક્રમે અને આધ્યાત્મિક આર્ષદ્રષ્ટા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પ્રેરણાથી ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર આશ્રમના પટાંગણમાં વૈશ્વિક અભિયાન ‘SRMD યોગા’ હેઠળ યોગ ચિંતન શિબિરનું આયોજન રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કરવામાં આવ્યુ હતું.
આ યોગ ચિંતન શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને અતિથિ વિશેષ તરીકે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલજી, બ્રહ્મવાદીની હેતલ દીદી, મહિલા પતંજલી યોગ સમિતિના દક્ષિણ ગુજરાતના રાજ્ય પ્રભારી તનુજા આર્યા, ધરમપુર રાજચંદ્ર આશ્રમના ટ્રસ્ટીગણ અને આત્માર્પિત અપૂર્વજી, વલસાડ જિલ્લા સંગઠન મહામંત્રી મહેન્દ્ર ચૌધરી અને સગંઠનના દક્ષિણ ઝોનના આઇ.ટી ઇન્ચાર્જ પારસ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન સાઉથ ઝોનના યોગ કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ થયું હતું. આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત યોગ બોર્ડના ટ્રેનર્સ અને સંચાલકો સાથે યોગ સમિતિના સભ્યો અને યોગપ્રેમી નાગરિકો અને યુવા ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ યોગ ચિંતન શિબિરનો ઉદ્દેશ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા સ્વરૂપે જ્યારે યોગ સાધના આજે વિશ્વપટલ પર સર્વની તંદુરસ્તી માટે જનજાગૃતિના સ્વરૂપે સ્વસ્વીકૃતિ મેળવી રહી છે ત્યારે દક્ષિણ ઝોનના સાત જિલ્લાઓમાંથી ૨૦૦૦ થી પણ મોટી સંખ્યામાં આ યોગ ચિંતન શિબિર કાર્યક્રમમાં યોગ પ્રેમીઓ હાજર રહ્યા હતા.