(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર વલસાડ જિલ્લામાં શરૂ કરાયેલા કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ અંતર્ગત ધરમપુર તાલુકાના આંબાતલાટ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૧૦ થી ૧૯ વર્ષના કિશોર અને કિશોરીઓને યુવાવસ્થા દરમિયાન થતાં શરીરના બદલાવો વિશે માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં માનસિક સ્વાસ્થ્ય, માસિક દરમિયાન રાખવાની કાળજીઓ તેમજ ઉજ્વળ ભવિષ્ય માટે શિક્ષણનું મહત્વ જેવા મુદ્દાઓ કેન્દ્ર સ્થાને રાખી વિદ્યાર્થીઓને તેની સમજ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હનુમતમાળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. નિરવ પટેલના માર્ગદર્શન હેઠળ હેલ્થ એન્ડ વેલનેસ ટીમ આંબાતલાટ – ૧ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય રામજીભાઈ ગવળી, એડોલેશન કાઉન્સિલર અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા.
-૦૦૦-