મોટી સંખ્યામાં શિવભક્તો કાવડયાત્રીઓ જોડાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: સેલવાસના મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો કાવડયાત્રીઓ જોડાયા હતા. આ કાવડ યાત્રાને પ્રથમ આમલીરામજી મંદિરથી શ્રી અજયભાઈ દેસાઈ સહિત સમાજના અગ્રણીઓ દ્વારા શિવજીની પૂજા-અર્ચના કરી શ્રીફળ વધેરી યાત્રાની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને અન્ય અતિથિઓએ કાવડ લઈ કાવડ યાત્રીઓ સાથે ચાલ્યા હતા જેનાથી કાવડયાત્રીઓમાં અનેરા ઉત્સાહનો સંચાર થયો હતો. તેઓએ બોલ બમના નારા સાથે કાવડ યાત્રા આગળના સ્થળ માટે રવાના થઈ હતી. આ કાવડ યાત્રા રામજી મંદિરથી શરૂ કરી બિન્દ્રાબિન મંદિરે જશે જ્યાંથી કાંવડમાં ગંગાજળ ભરી પરત શિવભક્ત કાવડયાત્રીઓ લવાછા ખાતેના રામેશ્વર મહાદેવ મંદિરમાં જળાભિષેક કરશે.