Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેન્‍દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના સચિવ અનિલકુમાર ઝાએ ધરમપુરના માલનપાડાની એકલવ્‍ય સ્‍કૂલ અને ટ્રેનિંગ સેન્‍ટરની મુલાકાત લીધી

વિદ્યાર્થીઓના અભ્‍યાસ અને રહેવા-જમવા બાબતની સુવિધા અંગે માહિતી મેળવી: કમ્‍પ્‍યુટર અને નર્સિંગ કોર્ષ સિવાયના અન્‍ય ટ્રેડના વિદ્યાર્થીઓને પણ કમ્‍પ્‍યુટર શીખવવા સચિવશ્રીએ સૂચન કર્યું

લાકડમાળમાં સ્‍કૂલના નવા બિલ્‍ડિંગના બાંધકામ માટે જમીન ફાળવાઈ હોવાની સચિવશ્રીએ માહિતી મેળવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: કેન્‍દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના સચિવશ્રી અનિલકુમાર ઝાએ ગતરોજ તા.24 ઓગસ્‍ટે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડા ગામની એકલવ્‍ય મોડેલ રેસીડેન્‍સિયલ સ્‍કૂલ અને વોકેશનલ ટ્રેનિંગ સેન્‍ટરની મુલાકાત લઈ નિરિક્ષણ કર્યું હતું. સાથે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્‍ય અંગે જરૂરી સૂચનો પણ કર્યા હતા.
વલસાડ જિલ્લાની ઉડતી મુલાકાતે આવેલા સચિવશ્રી અનિલકુમાર ઝાએ ધરમપુરના માલનપાડા ખાતે બાવળી ફળિયામાં આવેલી એકલવ્‍ય મોડેલ રેસીડેન્‍સિયલ સ્‍કૂલની મુલાકાત લીધી હતી. આ સ્‍કૂલમાં ધો. 6 થી 12ના 164 કુમાર અને 190 કન્‍યા મળી કુલ 354 છાત્રો અભ્‍યાસ કરે છે. સચિવશ્રીની મુલાકાત વેળા લોબીમાં બેસીને વાંચન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે તેમણે સંવાદકર્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયના પુસ્‍તકનો અભ્‍યાસ કરી રહ્યા હતા તે દરમિયાન સચિવશ્રીએ પ્રકાશના વક્રીભવન બાબતે જરૂરી સવાલ કરતા તેમનો પ્રત્‍યુતર વિદ્યાર્થીઓએ આપતા તેઓએ પ્રસન્નતા વ્‍યક્‍ત કરી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા. ત્‍યારબાદ વિદ્યાર્થીઓનું રસોડુ (મેસ) અને બાયોલોજી તેમજ કેમેસ્‍ટ્રી લેબોરેટરીનું પણ નિરિક્ષણ કર્યુ હતું. ધો. 12 સાયન્‍સના શિક્ષકોને પૂછ્‍યું કે, તમે પ્રેક્‍ટિકલ કેવી રીતે કરાવો છો? મેડિકલમાં કેટલા વિદ્યાર્થીઓ જાય છે? વગેરે પ્રશ્નોની માહિતી મેળવી હતી. આચાર્ય પ્રવિણભાઈ ભોયા સાથે વિદ્યાર્થીઓની રહેવા અને જમવા સહિતની સવલતો અંગે ચર્ચા કરી હતી. ગુજરાત સ્‍ટેટ ટ્રાયબલ એજ્‍યુકેશન સોસાયટી ગાંધીનગરના કાર્યપાલક નિયામક એસ.બી.વસાવાએ સચિવશ્રીને અત્રેની સ્‍કૂલનું મકાન જૂનું થયું હોવાથી લાકડમાળમાં સ્‍કૂલના નવા બિલ્‍ડિંગના બાંધકામ માટે જમીન મળી છે તે બાબતે માહિતગાર કર્યા હતા. સચિવશ્રીએ એકલવ્‍ય મોડેલ સ્‍કૂલની કામગીરી બાબતે સંતોષ વ્‍યકત કર્યો હતો.
સચિવશ્રીએ ત્‍યારબાદ બાજુમાં આવેલા અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડ સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્‍ટરની મુલાકાત લીધી હતી. આ સેન્‍ટરમાં ઈલેક્‍ટ્રીક, કેમિકલ પ્‍લાન્‍ટ ઓપરેટર, સિવિંગ મશીન ઓપરેટર, વેલ્‍ડિંગ અને કમ્‍પ્‍યુટરહાર્ડવેર સહિત કુલ 11 ટ્રેડમાં યુવક અને યુવતીઓ મળી કુલ 452 વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. સેમિનાર હોલમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી પૂછ્‍યું કે, કેટલા મહિનાની ટ્રેનિંગ લો છો?, ક્‍યા ટ્રેડમાં છો?, કયાં વિસ્‍તારમાંથી આવો છો?, આ સેન્‍ટર વિશે તમને માહિતી કેવી રીતે મળી? અહીં રહેવા, જમવા માટેની સુવિધા કેવી છે? અને ભણવામાં મજા આવે છે? સહિતના પ્રશ્નો પૂછી સંવાદ કર્યો હતો. ત્‍યારબાદ અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડના ટ્રસ્‍ટી સ્‍વાતિબેન લાલભાઈ સાથે પણ સચિવશ્રીએ વાર્તાલાપ કર્યો હતો. વિશેષમાં વીટીસીના આચાર્ય કેતનભાઈ ગુપ્તેને વિદ્યાર્થીઓના હિતમાં સૂચન કરતા જણાવ્‍યું કે, કમ્‍પ્‍યુટર અને નર્સિંગ કોર્ષના સ્‍ટુડન્‍ટોને તમે કમ્‍પ્‍યુટર શીખવો જ છો પરંતુ આ સિવાય અન્‍ય ટ્રેડના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે પણ એક મોડ્‍યુલ બનાવી કમ્‍પ્‍યુટરનું બેઝિક નોલેજ અવશ્‍ય આપજો. જેથી તેઓને ઉપયોગી થઈ શકે. અંતે સચિવશ્રીએ વીટીસીની વ્‍યવસ્‍થા ચકાસી પોઝિટિવ ફીડબેક આપી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્‍યની શુભેચ્‍છાઓ આપી હતી.

Related posts

નરોલીના હવેલી ફળિયામાં બંધ બંગલામાં થયેલી ચોરી

vartmanpravah

મોદી સરકારના 10 વર્ષના એક દાયકામાં દાનહ અને દમણ-દીવે સલામત બનાવેલું પોતાનું 30 વર્ષનું ભવિષ્‍ય

vartmanpravah

સેલવાસની બીએસએનએલ ઓફિસમાં શોર્ટસર્કિટથી આગ લાગવાથી સામગ્રી બળીને ખાક

vartmanpravah

કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજનો એન.એસ.એસ. કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપીમાં મોદીના રોડ શો દરમિયાન બે પ્રેરક રોચક ઘટના ઘટી હતી

vartmanpravah

દાનહ નરોલી પંચાયત ખાતે માર્બલ કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ ફેકવામાં આવી રહ્ના છે ઘન કચરો

vartmanpravah

Leave a Comment