(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.25: ઉમરગામ પોલીસ મથકના પટાંગણમાં જિલ્લા પોલીસ વડા ડો.કરણ રાજસિંહ વાઘેલાના અધ્યક્ષતા હેઠળ લોક દરબારનુંઆયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ઈશ્વરભાઈ બારીએ ઉમરગામના પૂર્વ ભાગ અર્થાત મહારાષ્ટ્ર, તલાસરી, આમગામ વગેરે વિસ્તારમાંથી અવરજવર કરતા વાહન ચાલકોને પડી રહેલી મુશ્કેલીને દૂર કરવા સંજાણ ઓવરબ્રિજને વહેલી તકે ચાલુ કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત મમકવાડ ગ્રામ પંચાયત સરપંચ શ્રી અમૃતભાઈ પટેલે સ્મશાન ગૃહમાંથી ચોરાઈ જતી સગડી અને રખડતા ઢોરોના ત્રાસની રજૂઆત કરી હતી. રજૂઆતોના સંદર્ભમાં જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ સિંહ વાઘેલાએ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે, ચોરોને વહેલી તકે ઝડપી પાડવામાં આવશે તેમજ રખડતા ઢોરના ત્રાસના નિવારણ માટે ગ્રામ પંચાયતો અને પાલિકા માટે રાજ્ય સરકાર બહાર પાડેલા પરિપત્રને અનુસરીને કાર્યવાહી કરવાની જાણકારી આપી હતી. આ ઉપરાંત સંજાણ ઓવરબ્રિજના સંદર્ભમાં રેલવે તંત્રનું ધ્યાન દોરવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડાએ ઉમરગામ પોલીસ મથક દ્વારા ગુના ઉકેલમાં થયેલી કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં વાપી ડીવાયએસપી શ્રી દવે તેમજ યુઆઈએના પ્રેસિડેન્ટ શ્રી જીગ્નેશભાઈ બારી, ઉમરગામ પાલિકા ઉપ પ્રમુખ શ્રી ગણેશભાઈ બારી, સામાજિક આગેવાનો અને ગ્રામપંચાયતના સરપંચો વગેરેની હાજરી જોવા મળી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ઉમરગામ પોલીસ મથકના પી.આઈ શ્રી વી. ડી. મોરી દ્વારા કરવામાં આવ્યું હતું.