પરીક્ષાના સુચારુ આયોજન માટે વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં બેઠક મળી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજિત બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની જાહેર પરીક્ષા તા.13/02/2022 ને રવિવારના રોજ વલસાડ જિલ્લાના 44 પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાશે. જેમાં 16314 ઉમેદવારો પરીક્ષા આપશે. આ પરીક્ષામાં પેપરનો સમયગાળો બપોરે 12-00 કલાકથી 2-00 કલાક સુધીનો રહેશે. પરીક્ષાર્થીઓ સારી રીતે, વિશ્વાસ સાથે અને નિર્ભયપણે પરીક્ષા આપી શકે એ હેતુસર અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ અને ત્યારબાદ વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં પરીક્ષાના આયોજન અંગેની બેઠક મળી હતી. જેમાં પરીક્ષાલક્ષી તમામ આનુસંગિક બાબતોને આવરી લેવામાં આવી હતી. કલેકટરશ્રી દ્વારા પરીક્ષાલક્ષી સુચારૂ આયોજન કરી પરીક્ષાની તમામ કામગીરી તટસ્થ રીતે કરવાની સંબંધિત તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવતાંજણાવ્યું હતું કે, વલસાડ જિલ્લાના તમામ પેટા પરીક્ષા કેન્દ્રો ભૌતિક સગવડો જેવી કે ફરજીયાત સી.સી.ટી.વી. કેમેરાની સગવડ, બ્લોકની વ્યવસ્થા, કંપાઉન્ડ, લાઇટ, પંખા, પીવાના પાણીની સુવિધા સાથે ઉપલબ્ધ છે. આ પરીક્ષા સંદર્ભે કલેક્ટર કચેરીના સ્ટાફ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના સ્ટાફ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સ્ટાફ અને પરીક્ષા સ્થળો ઉપર સ્થળ સંચાલકો અને પરીક્ષા સ્થળના તમામ સ્ટાફ, નાયબ કો-ઓર્ડીનેટર, મંડળના પ્રતિનિધિશ્રીઓ, તકેદારી સુપરવાઇઝર તરીકે વર્ગ-1 અને 2 ના અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે.
પરીક્ષા સમય દરમિયાન પરીક્ષા બિલ્ડીંગોની આજુબાજુ 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા, પરીક્ષાર્થીઓ પરીક્ષામાં કોઇપણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક, ડીજીટલ કે સ્માર્ટ ઉપકરણો અને બિન અધિકળત સાહિત્યનો ઉપયોગ ન કરવા માટે કલેકટરશ્રી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ 144 હેઠળનું જાહેરનામું લાગુ કરવામાં આવ્યું છે.
પરીક્ષાલક્ષી તમામ સાહિત્ય લાવવા કે લઈ જવા માટે, ઝોન કચેરી ખાતે, તેમજ પ્રત્યેક પરીક્ષા બિલ્ડીંગો ઉપર સલામતી વ્યવસ્થા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જરૂરિયાત મુજબનો પોલીસ બંદોબસ્ત કરવામાં આવશે. પરીક્ષાની કામગીરીમાં સંકળાયેલ તમામ અધિકારી/કર્મચારીઓ,પરીક્ષાર્થીઓનું સોશિયલ ડીસ્ટન્સીંગ જળવાય તેની તકેદારી રાખવાની સાથે કોવિડ-19 અંતર્ગત તમામ પરીક્ષાર્થીઓ અને સ્ટાફે માસ્ક ફરજીયાત પહેરવા સહિત સરકારની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરાવશે. તમામ પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલા પ્રવેશ લેવાનો રહેશે. ત્યારબાદ કોઇપણ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં. પ્રવેશ સમયે પણ 6 ફૂટનું અંતર જાળવી પરીક્ષા બિલ્ડિંગ પરનો સ્ટાફ જે પ્રમાણે સૂચવે એ પ્રમાણે સૂચનાઓનું પાલન કરવા તથા સૂચના મુજબ જ પરીક્ષા સ્થળ છોડવાનું રહેશે. પરીક્ષા બિલ્ડિંગ, લોબી, વર્ગખંડમાં કે બિલ્ડિંગ બહાર પણ ટોળામાં ભેગા થઈ શકશે નહીં.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.એ. રાજપૂત સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.