પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શિક્ષણ, શિસ્ત, સદાચાર અને સમર્પણથી દાનહ અને દમણ-દીવના લોકોના વિચારમાં પણ મોટું પરિવર્તન લાવી પ્રદેશની કાયાપલટ કરી છે ત્યારે દાનહ રોટરી ક્લબ પ્રશાસકશ્રીનું ઋણ અદા કરવાના હેતુથી મહિલાઓ માટે નિઃશુલ્ક કેન્સર નિદાન શિબિરનું નાનકડું કરેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: સોમવાર તારીખ 28મી ઓગસ્ટના રોજ રોટરી ક્લબ ઓફ દાદરા એન્ડ નગર હવેલી દ્વારા પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના જન્મદિવસના ઉપલક્ષમાં 3પ વર્ષથી વધુ વયની મહિલાઓ માટે નિઃશુલ્ક કેન્સર નિદાન શિબિરનું આયોજન જલારામ કોમ્પ્લેક્ષ, નરોલી, દાનહ ખાતે કરવામાં આવ્યું છે.
રોટરી ક્લબ ઓફ દાદરા એન્ડ નગર હવેલીના પ્રમુખ રોટેરિયન શ્રી મિલન પટેલ, સેક્રેટરી શ્રી મેઘાવીન પરમાર, કોષાધ્યક્ષ શ્રી વિરલસિંહ રાજપૂત અને સલાહકાર શ્રી યશવંતસિંહ પરમારના જણાવ્યા પ્રમાણે સંઘપ્રદેશની સંપૂર્ણ કાયાપલટ કરનારાપ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે નિઃશુલ્ક કેન્સર નિદાન શિબિરનું આયોજન કરી મહિલાઓમાં પોતાના આરોગ્યની બાબતમાં જાગૃતિ લાવવાનો હેતુ રહેલો છે.
પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે શિક્ષણ, શિસ્ત, સદાચાર અને સમર્પણથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકોના વિચારમાં પણ પરિવર્તન લાવવાનું સૌથી મોટું કામ કર્યું છે ત્યારે પ્રશાસકશ્રીના જન્મદિવસ નિમિત્તે તેમના નિરોગી જીવન અને યશસ્વી ભવિષ્યની કામનાની સાથે રોટરી ક્લબ ઓફ દાદરા એન્ડ નગર હવેલી દ્વારા 3પ વર્ષથી વધુ વયની મહિલાઓ માટે નિઃશુલ્ક કેન્સર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓ માટે ખાસ પેપ્સ સ્મીયર (ગર્ભાશયની થેલી) અને મેમોગ્રાફી (સ્તન કેન્સરની તપાસ) ટેસ્ટ વિવિધ સંશાધનોથી સુસજ્જ કેન્સર નિદાન વેનમાં મહિલા વિશેષજ્ઞ ડોક્ટર દ્વારા કરવામાં આવશે.