સમારોહ દરમિયાન લક્ષદ્વીપની સંસ્કૃતિ, વંશીય ખોરાક, પરંપરાગત ચિત્રો અને ખાદીઉત્પાદનોને દર્શાવતા લગાવાયેલા સ્ટોલોઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું ઉદ્ઘાટન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.01 : લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ પ્રશાસન દ્વારા કવરત્તી ગાંધી સ્કવેર ખાતે રંગારંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી નિમિત્તે લક્ષદ્વીપ પ્રશાસન દ્વારા લક્ષદ્વીપના તમામ ટાપુઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ઓફ ઈન્ડિયા(સી.આર.પી.એફ.), લક્ષદ્વીપ પોલીસ, ઈન્ડિયન રિઝર્વ બટાલિયન, નેશનલ કેડેટ કોર્પ્સ(એન.સી.સી.) અને સ્કાઉટ ગાઈડ તથા નેશનલ સર્વિસ સ્કીમ (એન.એસ.એસ.) સહિતના સંરક્ષણ એકમો પરેડ યોજાઈ હતી જેમાં 8 જેટલા એકમો દ્વારા આપવામાં આવેલી સલામીને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઝીલી હતી.
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના કરવત્તી ગાંધી સ્કવેર ખાતે આયોજીત રંગારંગ સમારોહ કાર્યક્રમમાં લક્ષદ્વીપની સંસ્કૃતિ, વંશીય ખોરાક, પરંપરાગત ચિત્રો અને ખાદી ઉત્પાદનોનેદર્શાવતા વિવિધ સ્ટોલો પણ લગાવાયા હતા જેનું ઉદ્ઘાટન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કર્યું હતું.
આ પ્રસંગે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, 8 જેટલા પ્લાટૂન દ્વારા આપવામાં આવેલી રાષ્ટ્રીય સલામી ઝીલવી, શાળાના બાળકોની સાયકલ રેલીને લીલી ઝંડી બતાવવી તથા આનંદદાયક અને સ્વાદિષ્ટ ભોજન ઉત્સવનું ઉદ્ઘાટન કરવું એ એક સન્માનની બાબત હતી.