(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વાપી મોકલસર ના કચ્છવાહ પરિવાર અને શક્તિ ગ્રૂપ દ્વારા માતૃશ્રી સ્વર્ગીય સકુદેવી પુનમારામજી કચ્છવાહની પુણ્યતિથિ નિમિત્તે વાપીમાં ચણોદ સ્થિત રાજસ્થાન ભવનમાં વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રક્તદાન શિબિરમાં કચ્છવાહ પરિવારના યુવાનો વડીલો, પરિવારની મહિલાઓએ ઉત્સાહભેર રક્તનું દાન કરી વિરહના આ પ્રસંગને ઉત્સવમાં પલટયો હતો.
વાપીમાં સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ વાપીના સરાહનીય પ્રયાસથી માતૃશ્રી સ્વર્ગીય સકુદેવી પુનમારામજી કચ્છવાહની 3જી પુણ્યતિથિ નિમિત્તે વાપીમાં ચણોદ સ્થિત રાજસ્થાન ભવનમાં વિશાળ રક્તદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. વાપીમાં વર્ષોથી તેલ અને ડ્રાયફ્રુટના વેપાર સાથે સંકળાયેલવાપી-મોકલસરના કચ્છવાહ પરિવાર અને શક્તિ ગ્રૂપ દ્વારા તેમના માતૃશ્રી સ્વર્ગીય સકુદેવી પુનમારામજી કચ્છવાહની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત આ રક્તદાન કેમ્પ અંગે કચ્છવાહ પરિવારના મોભી સુરેશભાઈએ જણાવ્યું હતું કે, માતાજીની પુણ્યતિથીનો દિવસ વિરહનો દિવસ ના બને, તેમની પુણ્યતિથિએ સેવાકીય કાર્ય કરી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈ શકીએ તેવી ભાવના સમગ્ર પરિવારની હતી. તેથી સૌની સંમતિ બાદ આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરિવારના વડીલો, યુવાનો, મહિલાઓએ પણ રક્તદાન કરી આ વિરહના પ્રસંગને અવસરમાં પલટયો છે.
વાપીમાં ચણોદ સ્થિત રાજસ્થાન ભવનમાં આયોજિત વિશાળ રક્તદાન શિબિરમાં સંપૂર્ણ વ્યવસ્થા પ્રદાન કરનાર રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજસ્થાન ભવનના મોવડી બી.કે. દાયમાંએ જણાવ્યું હતું કે, તેઓ પોતાની પત્નીની પુણ્યતિથિ, જન્મતિથિએ વર્ષીથી રક્તદાન કેમ્પનું આયોજન કરતા આવ્યા છે. આ પ્રયાસથી વાપીમાં રક્તની ઘટને નિવારવામાં મદદરૂપ થઈ સેવાકીય કાર્ય કરે છે. કચ્છવાહ પરિવારે પણ આ પહેલ કરી છે. જે સરાહનીય છે. આજના રક્તદાન શિબિરમાં 80 ટકા રક્તદાતાઓએ જીવનમાં પ્રથમ વખત રક્તનું દાન કર્યું છે. રક્તનું દાન એ સૌથી મોટું દાન છે. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએસહકાર આપી રક્તનું દાન કરી માનવતાનું કાર્ય કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છવાહ પરિવાર અને શક્તિ ગ્રૂપ દ્વારા માતૃશ્રી સ્વર્ગીય સકુદેવી પુનમારામજી કચ્છવાહની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત રક્તદાન શિબિરમાં વાપીના પૂર્વ પ્રમુખ, વીઆઈએના પૂર્વ પ્રમુખ, રાજસ્થાન સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો, વાપી નગરપાલિકાના નગરસેવકો, ટ્રસ્ટના સભ્યો સહિત ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જેમાંના મોટાભાગનાએ પણ ઉત્સાહભેર રક્ત આપી આ વિશાળ રક્તદાન શિબિરના ઉદેશ્યમાં સહભાગી થયા હતાં. સૌથી મહત્વનું આ રક્તદાન શિબિરમાં કચ્છવાહ પરિવારના યુવાનો વડીલો, પરિવારની મહિલાઓએ ઉત્સાહભેર રક્તનું દાન કરી વિરહના આ પ્રસંગને ઉત્સવમાં પલટયો હતો.