(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં હાલમાં ડેંગ્યુ તાવના કેસોમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. ડેંગ્યુ તાવના વધી રહેલા પ્રકોપના કારણે દાનહ ઈન્ડિયન રેડક્રોસ દ્વારા સંચાલિત રક્તદાન કેન્દ્રમાં રક્ત, પ્લેટલેટ્સની માંગમાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય દિવસોમાં રોજના ત્રીસ યુનિટ રક્તની માંગ રહે છે એની સામે હાલમાં 60થી વધુ યુનિટ રક્ત, પ્લેટલેટ્સ અને સ્ટેમ સેલ્સની માંગ છે. જેથી સ્વૈચ્છિક રક્તદાન કરવા રક્તદાન કેન્દ્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.
રક્તદાન કેન્દ્ર સેલવાસના એક પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે તેઓ છેલ્લા 13 વર્ષથી ડેંગ્યુના દર્દીઓની વિશેષ સંભાળ કરી રહ્યા છે અને પ્રભાવિત રોગીઓ માટે પાકા પપૈયા અને ગિલોયમાંથી બનાવેલ મિશ્રણ અર્ક પીવડાવવાની સેવા કરી રહ્યા છે જેનાથી રોગીઓને તેમના આરોગ્ય માટે લાભ મળી રહ્યો છે. દુર્ભાગ્યવશથી આવર્ષે ડેંગ્યુના દર્દીઓમાં પ્લેટલેટ્સ ખુબ જ ઝડપથી ઉતરી રહ્યા છે અને તેઓને પ્લેટલેટ્સ અથવા એસ.ડી.પી. ટ્રાન્સફયુઝન કરવાની આવશ્યકતા હોય છે. જેથી પરિવારના દરેક સભ્યોનું ધ્યાન રાખવું જરૂરી છે. આવા પ્રભાવિત રોગીઓને પણ મદદ કરવી જોઈએ જેઓ પોતાના સગાંઓ માટે પ્લેટલેટ્સ પ્રાપ્ત કરવા માટે દાતાઓની વ્યવસ્થા કરવામાં સક્ષમ હોતા નથી. જેથી રક્તદાતાઓને અનુરોધ કરીએ છીએ કે સંબંધિત સભ્યો દ્વારા રક્તદાન માટે સક્ષમ હોય તેઓ આગળ આવે અને જરૂરિયાતમંદ લોકોને રક્ત મળી શકે.
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડો. રાજેશ શાહના જણાવ્યા અનુસાર દાદરા નગર હવેલીમાં ડેંગ્યુના કેસોમાં વધારો થવાના કારણે હાલમાં રક્ત, પ્લેટલેટ્સની માંગ ઘણી વધી જવા પામી છે. સામાન્ય દિવસોમાં ત્રીસ યુનિટ રક્તની ડિમાન્ડ હોય છે અને હાલમાં 60થી 70યુનિટની માંગ છે. પ્લેટલેટ્સ માટે વલસાડ અને વાપી રક્તદાતાઓને મોકલવા પડે છે અને ત્યાંથી સગવડ કરવામાં આવી રહી છે. અહી કેટલાક દર્દીઓ મહારાષ્ટ્રથી આવતા હોય છે, જેઓના સગાં-વ્હાલાઓ રક્તદાન કરતા નથી જેના કારણે સ્થાનિક રક્તદાતાઓના ભરોસે જ રહેવું પડે છે જેથી પ્રદેશના યુવાઓને વધુમાં વધુ રક્તદાન કરવા માટે અપીલ કરીએ છીએ.