(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ઉમરગામ તાલુકામાં તમામ માર્ગોની હાલત દયનીય છે. વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા છે પરંતુ જવાબદાર વિભાગની બેદરકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નેવે મૂકેલી શરમના કારણે માર્ગોનું સમારકામ કરવામાં આવતું નથી. જેના કારણે અકસ્માત તેમજ ટ્રાફિક સમસ્યા વગેરેનો સામનો કરવો પડી રહ્યો છે. આજરોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી દિનેશભાઈ ભાણાભાઈ પટેલ, માજી સાંસદ શ્રી કિશનભાઇ વેસ્તાભાઇ પટેલ અને ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી ફુલજીભાઈ પટેલ અને એમની કાર્યકર્તાઓની ટીમે ઉમરગામ મામલતદાર કચેરીએ રસ્તાના સમારકામ તાત્કાલિક અસરથી કરવામાં આવે એ ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રસંગે અધિકારી સમક્ષ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, માજી સાંસદ શ્રી કિશનભાઇ પટેલ અને ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી ફુલજીભાઈએ ઉમરગામ તાલુકાના ખખડધજ બનેલા રસ્તાઓનો ચિતાર રજૂ કર્યો હતો અને જેના કારણે વેઠવા પડી રહેલી અકસ્માત સહિતની હાડમારીની વેદના ઠાલવી તાત્કાલિક અસરથી રસ્તાઓનું સમારકામ ચાલુ કરવામાં આવે એવી વિનંતી કરી હતી.